સિદ્ધપુરથી ટિકિટ ન મળતાં ભાજપની નારાજ જયનારાયણ વ્યાસ આખરે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ જતા ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
અંતે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
સિદ્ધપુરથી ટિકિટ ન મળતા ભાજપથી હતા નારાજ
અંતે પૂર્વ ભાજપ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે. જોડાઇ ગયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહત્વનું છે કે, સિદ્ધપુરથી ટિકિટ ન મળતાં તેઓ ભાજપથી નારાજ હતાં.
ગઇકાલે સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગ્યા હતા
પૂર્વ આરોગ્ય મંત્રી એવાં સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. તેઓએ ખુલ્લું સમર્થન જાહેર કરતા પાટણ જીલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વામૈયા ગામે ભરી સભામાં જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને જીતનાં આશીર્વાદ આપ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય હાર પહેરાવી સિદ્ધપુરનાં ધારાસભ્ય જાહેર કર્યા હતા. આ સાથે જ ચંદનજી ઠાકોરને જીતાડવાની જયનારાયણ વ્યાસે સહિયારી જવાબદારી પણ લીધી હતી. જયનારાયણ વ્યાસ જાહેરમાં ચંદનજીના સમર્થનમાં આવી જતા ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત માટે સિદ્ધપુર વિધાનસભાની જીત કપરા ચઢાણ સમી બની જવા પામી છે. જોકે જયનારાયણ વ્યાસ અને ચંદનજી ઠાકોરને એક મંચ પર જોવા માટે સમગ્ર ગામ ઉમટ્યું હતું. મહત્વની બાબત એ છે કે સિદ્ધપુર બેઠકમાં જયનારાયણ વ્યાસના હજારો સમર્થકો ભાજપનાં ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત માટે મોટી મુશ્કેલી સર્જે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
અનેક ભાજપ નેતાઓ કોંગ્રેસને સમર્થન કરે છે: આલોક શર્માનો મોટો દાવો
બીજી બાજુ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પણ જયનારાયણ વ્યાસ મામલે મોટો દાવો કર્યો હતો. આલોક શર્માએ કહ્યું હતું કે જય નારાયણ વ્યાસ ખુલ્લીને અમારી સામે આવ્યા છે. જ્યાંરે બીજા ભાજપના નેતાઑ ખાનગીમાં સમર્થન કરતા હોવાનું જણાવ્યું છે. વધુમાં 25 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓની ટીમ અંદરખાને મદદ કરતી હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં ભાજપના ગઢમાં પણ કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન કરે છે. વધુમાં આલોક શર્માએ કહ્યું કે આ અંગે નામ સાથેનું લિસ્ટ પણ અમારી પાસે છે.'
જુઓ કોણ છે જયનારાયણ વ્યાસ?
ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસ કે જેઓ ભાજપના દિગ્ગજ નેતા હતા. તેઓ ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. એક સમયે તેમનો ભાજપમાં ભારે દબદબો હતો. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યાં છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યાં હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે. જોકે, તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યાં છે.