જમ્મુ-કાશ્મીરમાં શહીદ કપડવંજના વણઝારીયા ગામના જવાન હરેશસિંહ પરમારનો પાર્થિવદેહ આજે ગુજરાત લવાશે.
જમ્મુ કાશ્મીરની સરહદે ગુજરાતનો જવાન શહીદ
સવારે 8.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પાર્થિવદેહ લવાશે
શહીદની અંતિમ વિધી વણઝારીયા ગામે કરવામાં આવશે
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષિય હરેશ સિંહ પરમાર નામનો જવાન છેલ્લા પાંચ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતો હતો. આ યુવાને જમ્મુના પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વ્હોરી લીધી છે. ત્યારે આજે સવારે 8:00 વાગ્યે શહીદ જવાન હરેશસિંહ પરમારનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર લવાશે. ત્યારબાદ પાર્થિવદેહને અમદાવાદથી વણઝારીયા લઇ જવાશે. વણઝારીયા ગામે શહીદની અંતિમ વિધી કરવામાં આવશે.
વિરણીયામાં શ્રદ્ધાંજલિ માટે ઉમટી લોકોની ભીડ ઉમટી પડી
જવાન શહીદ થતા સમગ્ર વણઝારીયા ગામમાં ભારે શોકનો માહોલ પ્રસરી ગયો છે. સાથે સાથે ગ્રામજનો ગર્વ પણ અનુભવી રહ્યા છે કે પોતાના ગામના યુવાને દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. વિરણીયામાં શ્રદ્ધાંજલિ માટે ઉમટી લોકોની ભીડ ઉમટી પડી છે.
શહીદ જવાન હરેશસિંહ ગામના યુવાનોને પ્રોત્સાહિત કરતા હતા
તેઓ જ્યારે જ્યારે ફરજ પરથી પોતાના વતન વણઝારિયા આવતા હતા, ત્યારે પોતાના મિત્રો તથા ગામના યુવાનોને પણ આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપતા હતા. સાથે સાથે સ્કૂલમાં બાળકોને દોડાવા તથા ફિઝિકલ રીતે તૈયાર કરવા કેવી રીતે ફિટ રહેવું સાથેનું જ્ઞાન આપી અને યુવાનોને દેશની સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
તેમના પરિવારમાં માતા-પિતા એક મોટો ભાઈ એક નાનો ભાઈ છે. મોટાભાઈ આર્મીમાં હતાં જેઓએ ફેમિલી પ્રોબ્લેમને લઇને આર્મી છોડી દીધેલ હતી. મોટાભાઈના સપના પુરા કરવા માટે નાનાભાઈ હરીશસિંહ 2016માં આર્મીમાં જોડાયા હતા. હાલ પૂંછ સેક્ટરમાં ફરજ પર હતા પોતાના મોટા ભાઈના દીકરાને પણ આર્મીમાં જોડવાનું હરીશ સિંહનું સપનું હતું.
પોતાના નાનપણના સ્કૂલ સમયના મિત્રોને પણ આર્મીમાં જોડાવા પ્રોત્સાહિત કરતા હતા અને જ્યારે પણ રજા લઈને પોતાના વતન વણઝારીયા ફરે ત્યારે મિત્રો સાથે વિતાવેલી પળોને પણ તેઓના ગામના મિત્રો આજે યાદ કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે. સાથે સાથે પોતાના મિત્ર એ દેશ માટે બલિદાન આપ્યું છે તેનો ગર્વ પણ અનુભવી રહ્યા છે.
ગઈકાલે જ્યારે સાંજના સુમારે આર્મી હેડક્વાર્ટરમાંથી તેઓના મોટાભાઈ ઉપર ફોન આવ્યો હતો. જેમાં તેઓને જણાવ્યું હતું કે તેમના નાનાભાઈ હરીશભાઇ આતંકવાદી અથડામણમાં શહીદ થયા છે, આ સાંભળી પરિવારના પગ નીચેથી જમીન ખસી ગયેલ અને ભારે શોકમય માહોલ થયો હતો. હાલ આર્મી જવાનનો મૃતદેહ ક્યારે તેના માદરે વતન લવાશે તેની ચોક્કસ માહિતી હજુ સુધી પરિવાર જનો ને નથી મળી.