પક્ષ સાથે વફાદારી પણ બદલાય એ તો સમજયાં પરંતુ જબાનના તેવર બદલાય છે ત્યારે એવા લોકોને પ્રતિનિધિ તરીકે ઓળખવા માત્ર `પલટુ' તરીકે નવાજવા તે સંસ્કારી અને પ્રબુદ્ધ નાગરિકો જલદી નક્કી નથી કરી શકતા. જનતાનાં મતથી જ્યારે નેતાઓ સત્તા સ્થાને ગોઠવાઈ જાય છે પછી તેમને એક તરફી ભાષણબાજી સિવાય કશું ગમતું નથી.
એટલે જ તો જ્યારે તેમને ચોથી જાગીરનાં સણસણતા સવાલનો સામનો કરવાનો વખત આવે છે ત્યારે તેમને પોતાનો ગરાસ લૂંટાતો લાગે છે. કોઈ પત્રકારે જવાહર ચાવડાને પક્ષ બદલવાનું કારણ શું પૂછી લીધું કે તેમણે પોતાને પત્રકારોનાં પણ બાપ ગણાવી દીધાં.
હા અમે સવાલો કરીશું. હાં અમે જવાબો માંગીશું. કેમ કે જનતાએ માત્ર પક્ષને મત ન હોતાં આપ્યાં. જનતાએ એક જવાબદાર જનપ્રતિનિધિને પણ મત આપ્યાં હતાં. જનતાનાં આદેશને અધવચ્ચે અવગણી તમે ભલે છોડી ગયાં પરંતુ જનતાનાં આદેશનું અપમાન કરવાનું ખરું કારણ જાણવાનો જનતાને હક છે.
કેમ કે તમને કિંગ બનાવનારી જનતા કિંગમેકર છે. અમે સવાલ કરવાનું છોડીશું નહીં. અમારી આ કુટેવ હોઈ શકે પરંતુ તેનો જવાબ તમારે આપવો પડશે. ચાહે સૌમ્યતાથી આપો કે ચાહે ચાતુરીથી આપો. જવાબ તો આપવો પડશે. કેમ કે બાપ ગણાવી દેવાથી કામ નહીં ચાલે.
આ છે કોંગ્રેસ છોડી ભાજપમાં જઈને તાબડતોબ મંત્રી પદે બિરાજેલા જવાહર ચાવડા. જવાહરનો અર્થ હીરા, માણેક અને મોતી અને ઝવેરાત થાય છે. પરંતુ જનતાનાં આ પ્રતિનિધિ અને મંત્રી એવાં જવાહરની જબાનમાંથી જ્યારે પ્રજાધર્મી પત્રકારો સામે અસંસ્કારી શબ્દોનાં તીર છૂટયાં ત્યારે લોકોને લાખો મતદારોને તેમનાં નામ પર શંકા થવા લાગી.
પક્ષ બદલતા વફાદારી બદલાય જાય એમાં નાગરિકોને ફેર નથી પડતો પરંતુ જ્યારે જબાનનાં તેવર અને પાવરની પ્રસ્તુતિ બદલાઈ જાય છે ત્યારે મતદારોની ભાવનામાં ફરક જરૂર પડે છે. માણાવદર બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયાં બાદ રાજકીય સોદાબાજી અને સમાધાન કરીને ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યા બાદ જવાહર ઘણાં સમયથી સત્તાનાં મદમાં આવી ગયાં છે.
વિજય રૂપાણી કેબિનેટમાં હાલમાં જ સ્થાન પામનારા જવાહર ચાવડા પોતાને પત્રકારોનાં બાપ કહેવડાવતો વીડિયો વાઈરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે અહીં વીડિયોમાં જોઇ શકો છો પાવરનાં આ બદલાતા તેવર.
આ વીડિયો વંથલીમાં યોજાયેલી એક જાહેર સભાનો છે. જ્યાં મંત્રી જવાહર ચાવડા પત્રકારોને અપશબ્દો બોલી રહ્યાં છે. પક્ષ પલટા મુદ્દે જવાહર ચાવડાને પત્રકારો સવાલો કર્યો તો તેઓ અકળાઈ ઉઠ્યાં કેમ કે તેમની પાસે સાચો જવાબ ન હતો.
સાચો અનવ્યાજબી જવાબ આપવાનાં બદલે જવાહર ચાવડાએ પોતાને પત્રકારોનાં બાપ ગણાવી દીધાં. આ જ જવાહર ચાવડા જ્યારે વિપક્ષમાં હતાં ત્યારે ભાજપનાં નેતાઓને અણિયારા પ્રશ્નો પૂછવા પત્રકારોને રીતસર કાકલૂદી કરતા હતાં અને હવે મંત્રી બની ગયાં બાદ પોતાનો ભૂતકાળ ભૂલીને વટ મારી રહ્યાં છે અને સાન ભાન ભૂલીને સન્માન જાહેરમાં વાણી વિલાસ કરી રહ્યાં છે.
એક કેબિનેટ કક્ષાનાં મંત્રી તરીકે જવાહરનાં આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખાસ્સી ટીકા થઈ છે. ઘણાં વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે બાપ કોને કહેવાય એ એમને શીખવું જોઈએ, પછી બોલવું જોઈએ. શું આવી ભાષા એક કેબિનેટ મંત્રી તરીકે શોભે ખરી? પત્રકારોનું કામ સવાલ કરવાનું છે. ત્યારે જો મંત્રી જ આવી ભાષાનો ઉપયોગ કરશે તો જનતા આવા મંત્રીઓથી પાસેથી શું આશા રાખશે.