ભારતીય ટીમ જસપ્રિત બુમરાહની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ થયા છતાં, તેના એક કામે બધાને તેના ફેન બનાવી દીધા છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ભારતની 7 વિકેટે હાર
રોહિત શર્માની ગેરહાજરી સાથે આ મેચ રમાયો હતો
જસપ્રિત બુમરાહને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
બુમરાહનું ટીમ માટે યોગદાન
ભારતીય ટીમ ભલે ઈંગ્લેન્ડ સામેની મેચ હારી ગઈ હોય, પરંતુ જસપ્રિત બુમરાહે પોતાનું 100 ટકા યોગદાન આપ્યું હતું. તેણે બંને ઇનિંગ્સમાં શરૂઆતી વિકેટ ઝડપી હતી અને ભારત માટે જીતનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. મેડલ લેવા માટે જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેના માટે શેમ્પેઈનની બોટલ પણ રાખી હતી, પરંતુ તેણે તે લીધી ન હતી. વાસ્તવમાં ઈંગ્લેન્ડમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ માટે શેમ્પેઈનની બોટલ ગિફ્ટમાં આપવામાં આવે છે.
શેમ્પેઈન નો સ્વીકાર ન કર્યો
ભારતીય ટીમનો 7 વિકેટે પરાજય થયો હતો ત્યારે જસપ્રિત બુમરાહે શેમ્પેઈન ન લેતા ઉજવણી કરી ન હોય તેવું લાગતું હતું. ક્રિકેટ ચાહકોના દિલમાં આ વાત ઉતરી ગઈ. લોકો સોશિયલ મીડિયા પર બુમરાહના વખાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મેડલ લીધા બાદ તે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને એન્કર માર્ક બુચર સાથે વાતચીત કરવા જઈ રહ્યો છે.
ભૂલ સ્વીકારી
રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતની કેપ્ટનશિપ કરનાર જસપ્રિત બુમરાહે એજબેસ્ટનમાં મળેલી હાર બાદ તેણે સ્વીકાર્યું હતું કે તે બોલિંગમાં સારો દેખાવ કરી શક્યો નથી અને આ કારણે મેચમાં ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત બની હતી. લગભગ ત્રણ દિવસ સુધી મેચ પર પ્રભુત્વ જમાવ્યા બાદ અને ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 284 રનમાં સમેટી લીધા બાદ ભારતે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાનોએ આસાનીથી સાત વિકેટ સાથે હાંસલ કરી લીધો.
બોલિંગની પકડ છૂટી ગઈ
બુમરાહે કહ્યું, "મને લાગે છે કે ગઈકાલે અમે બેટિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને અમારે બોલ સાથે ઝડપથી પાછા આવવું પડ્યું હતું. મને લાગે છે કે ત્યાં જ અમે મેચમાં વિરોધી ટીમને પકડ બનાવવા દીધી હતી અને ત્યારબાદ ગતિ અમારાથી દૂર જતી રહી હતી. બુમરાહે પાંચ મેચમાં 22.47ની સરેરાશથી 23 વિકેટ ઝડપવા બદલ ભારતના પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, જે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કોઈ ભારતીય બોલરે લીધેલ સૌથી વધુ વિકેટ છે.
અનુભવ ખુબ સારો રહ્યો
હારેલી ટીમ હોવા છતાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું સુકાન સંભાળવાની મજા માણી હતી. "હું મારી જાતને ઓલરાઉન્ડર તરીકે જોતો નથી. ટેસ્ટ ક્રિકેટની આ જ સુંદરતા છે. જો તમારી પાસે ત્રણ સારા દિવસો હોય, તો પણ તમારે વધુ સારું કરવાનું ચાલુ રાખવું પડશે અને સારું પ્રદર્શન કરવું પડશે. મને કેપ્ટન્સીની જવાબદારી ગમે છે. આ એક સારો પડકાર હતો. ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત હતી અને તે એક મહાન અનુભવ છે. "
પંત અને જાડેજાની સદીની પ્રશંસા
તેમણે આગળ જણાવ્યું "જો પ્રથમ મેચમાં (ટ્રેન્ટ બ્રિજ ખાતે) વરસાદ ન પડ્યો હોત, તો અમે શ્રેણી જીતી શક્યા હોત. પરંતુ ઇંગ્લેન્ડ ખરેખર સારું રમ્યું હતું. અમે શ્રેણી ડ્રો કરી છે અને બંને ટીમો ખૂબ જ સારી ક્રિકેટ રમી છે અને તે યોગ્ય પરિણામ હતું. બુમરાહે પ્રથમ ઈનિંગના 416 રનના સ્કોરમાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની મહત્વની સદીઓની પ્રશંસા કરી હતી.