એક એવો દેશ છે જ્યાં લોકો મૃત્યુ આવે તે પહેલા જ પોતાના માટે કબર, કપડાં અને કફન ખરીદે છે. આ માટે એક ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે.
આ દેશમાં ઉજવવામાં આવે છે અનોખો ફેસ્ટિવલ
લોકો મૃત્યુ પહેલા ખરીદે છે મૃત્યુનો સામાન
જાણો તેના વિશે ડિટેલ્સમાં
જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે સામાન ખરીદવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકો જીવતા જ તેના અંતિમ સંસ્કાર માટે સામાન ખરીદે છે. જી હા એક એવો દેશ છે જ્યાં લોકો મૃત્યુ આવે તે પહેલા જ પોતાના માટે કબર, કપડાં અને કફન ખરીદે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે એક ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે, જેને શુકાત્સુ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે.
જીવતા લોકો ખરીદે છે પોતાની કબર
જાપાન એક એવો દેશ છે જ્યાં જીવતા લોકો તેમના મૃત્યુ પછીનો જરૂરી સામાન ખરીદે છે. મૃત્યુ પછીની તૈયારી કરવી એ કોઈ મજાક નથી. રાજધાની ટોક્યોમાં ફ્યુનરલ બિઝનેસ ફેર યોજાય છે અને લોકો અહીં ખરીદી કરવા આવે છે. દર વર્ષે 16મી ડિસેમ્બરે 'શુકાત્સુ ફેસ્ટિવલ' ઉજવવામાં આવે છે.
ફેસ્ટિવલમાં લોકો પસંદ કરે છે પોતાનો અંતિમ સંસ્કાર પોશાક
આ તહેવારને 'શુકાત્સુ ફેસ્ટા' (Shukatsu Festa) પણ કહેવામાં આવે છે. લોકો અહીં તેમના અંતિમ સંસ્કારનો પોશાક પસંદ કરે છે. ફૂલોથી ભરેલા તાબૂતની પરચી પણ લે છે અને તેમાં સૂતી વખતે ફોટો પર ક્લિક કરાવે છે. એટલું જ નહીં લોકો સ્મશાનમાં પ્લોટ પણ ખરીદે છે.
ટોક્યોમાં આયોજીત કરવામાં આવે છે શુકાત્સુ ફેસ્ટિવલ
મૃત્યુ એક એવો વિષય છે જેના વિશે લોકો બહુ વિચારતા પણ નથી. એમાં પણ મૃત્યુની ઉજવણી કરવી એ કદાચ સૌથી અલગ વિચારોમાંથી એક છે. ટોક્યોના શુકાત્સુ ફેસ્ટિવલમાં, લોકોને ખરેખર મૃત્યુ માટે યોગ્ય રીતે કેવી રીતે તૈયારી કરવી તે શીખવવામાં આવે છે. જાપાનીઝમાં 'શુકાત્સુ' નો અર્થ થાય છે પોતાના અંત માટે તૈયારી કરવી.
વિઝિટર્સને શિખવાડવામાં આવે છે કેવી રીતે થાય છે તૈયારી
આ વ્યવસાયને 'એન્ડિંગ ઇન્ડસ્ટ્રી' કહેવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને અવગત કરાવવાનો છે કે મૃત્યુ પછી શું થાય છે અને તેમના ગુજરી ગયા પછી જે લોકોને પાછળ મુકીને જાય છે તેમનું શું થાય છે. મુલાકાતીઓને એમ પણ શિખવવામાં આવે છે કે મૃત્યુ બાદ વ્યક્તિના શરીરને કેવી રીતે તૈયાર કરવા આવે છે.
ફેસ્ટિવલમાં વૃદ્ધો ઉપરાંત યુવાનો પણ લે છે ભાગ
જાપાનમાં વિશ્વની સૌથી જૂની વસ્તી હોવાની સાથે અંતિમ સંસ્કારનો સૌથી મોટો ઉદ્યોગ પણ છે. પરંતુ આનો અર્થ એ નથી કે તહેવાર માત્ર વૃદ્ધોના હિતમાં છે. મોટી સંખ્યામાં યુવાનો પણ ત્યાં આવે છે જે તેમાં ખૂબ જ રસ ધરાવે છે.