ઉપરની પંક્તિ કાન સાથે અથડાય અને નંદલાલ પારણીયામાં જુલતા અને આપણી સામે જોઈને હસતા હોય તેવું ચિત્ર માનસપટ પર તરવરી ઉઠે નંદનંદનનું ખડખડાટ હાસ્ય આખા વાતાવરણને માધવમય બનાવે છે.
કાનુડાના જન્મોત્સવની તડામાર તૈયારીઓ ઠેર-ઠેર થઇ રહી છે. કાનુડાના આગમનના વધામણ કરવા લોકો અનેક આયોજનો કરી રહ્યા છે. ઠેર-ઠેર રહેલા કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે કૃષ્ણજન્મના વધામણા કોને ના ગમે !!
મિત્રો કૃષ્ણ પ્રણયનું બહુગામી સ્વરૂપ છે જેવું આપણું મનોગત એવું જ તેનું પ્રતિબિંબ. કૃષ્ણ તો વરસે છે અનરાધાર જીલી શકાય તે આપણું વહી જાય તે વાતાવરણનું આવી કલ્પના ગુજરાતના એક કવિએ કરી કરી છે. કૃષ્ણપદ ગાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ જવું અને બાળ કૃષ્ણના ભેરુ બની એના ખભે હાથ મૂકીને કેવું 'એલા કાનુડા ચાલને પકડમપટ્ટી રમીએ ..." અનોખો અહેસાસ કરાવે છે.
રામ મર્યાદાપુરષોત્તમ છે જયારે કૃષ્ણ પૂર્ણપુરષોત્તમ છે. કૃષ્ણરંગમાં ખોવાઈ ગયેલી ગોપી અને પેલી હરખઘેલી રાધાને જોઈ આપણને પણ મન થઇ આવે કે ચાલો આપણે પણ એ નટખટ ના તોફાન સાથે વણાઈ જઈએ. મોહનને ગોપી સાથે વૃંદાવનમાં રમતો જોઈ ક્યાંક કૃષ્ણ ઘેલી રાધા કૃષ્ણને મિસકોલ કરી પોતાની સાથે રમવાનું ઇજન દેતા હશે ત્યારે રાધાઘેલો કાન પોતાની વાંસળીના સૂર રેલાવી રાધામય બની જતો હશે .ખરું ને ????
મિત્રો કૃષ્ણ તો પૂર્ણાનુભૂતીનો વિષય છે. કૃષ્ણના તોફાન તેની રાસલીલા તેના રિસામણા મનામણા વગેરે બાબતથી ઘેરાયેલા કૃષ્ણને જેટલી વખત જોઈએ તેટલી વખત અલગ જ તરી આવે છે. કૃષ્ણ માત્ર નિજાનંદ માટે અવતર્યા છે.
આજના હાઈટેક જમાનામાં વાંસળી વગાડતા કૃષ્ણ અને કૃષ્ણનું નટખટ સ્વરૂપ કે પછી ગોપીઓને હેરાન કરતા અને તેમના માટલા ફોડી નાખતા કૃષ્ણ કે ભાઈબંધ સાથે ગેડીદડો રમતા કે પછી દ્રૌપદીના વસ્ત્રો પૂરતા કૃષ્ણ ઘણા જુદા જ લાગે છે.
માધવની વ્યાખ્યા સમયે -સમયે બદલાય છે આજના જમાના પ્રમાણે કૃષ્ણની વ્યાખ્યા કરીએ તો આજે પણ માધવ વાંસળીના સૂર વૃંદાવનમાં વગાડતા જોવા મળે છે સાથે કૃષ્ણ ફેસબુક ટ્વીટર અને વોટ્સએપ વાપરતા અને ગોવાળિયા સાથે ઓનલાઇન ચેટીંગ કરતા ભાસે છે. કૃષ્ણ અને રાધાનો સ્નેહ બહુ વ્યાખ્યાઇત છે એને શબ્દમાં ઢાળવો ઘણો કઠીન છે.