જામનગરમાં ચોમાસુ લગભગ વિદાય ભણી છે છતાં પણ માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.
જામનગરમાં મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન
નવરાત્રી આવી, ખાડા ક્યારે પુરશો?
રસ્તાના સમારકામના દાવાઓ માત્ર કાગળ પર ?
જામનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર ખાડાઑને કારણે વાહન ચાલકો અને શહેરીજનોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. હવે જ્યારે ચોમાસુ વીતી ગયું તેમ છતાં હજુ પણ તંત્ર દ્વારા ખરાબ રસ્તાઓ અંગે રીપેરીંગની કાર્યવાહી ન કરાતા શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
સરકારના દાવાનું શું થયું ?
વરસાદના કારણે રાજ્યભરમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. સરકારે પણ રોડ પર ખુલ્લા પડેલા ભ્રષ્ટાચારને નવરાત્રી પહેલા ઢાંકવાનો વાયદો કર્યો હતો. જોકે આજે પણ અનેક રોડ પર મસમોટા ખાડા છે.ત્યારે જામનગર શહેરમાં પણ લોકો ખાડાના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ રસ્તા બિસ્માર હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખરાબ રોડના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યા છે. ત્યારે જનતાનું કહેવું છે કે સરકારના વચનનું શું થયું ?
રસ્તાનું સમારકામ ક્યારે?
જામનગર શહેરના ગૌરવ પથ અને અન્ય મુખ્ય વિસ્તારો અને બજારોના માર્ગો ઉપર ખાડાઓ પડવાના કારણે રસ્તાઑ બિસ્માર બન્યા છે. જે તે સમયે જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના સત્તાધીશો દ્વારા ચોમાસુ પૂર્ણ થયા બાદ તમામ રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ કામગીરી જામનગરમાં ક્યાંય શરૂ કરાઈ નથી. જામનગર મહાનગરપાલિકા ખાતે છેલ્લે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રોડમાં પડેલ ખડાઓનું પેચવર્ક કરવા માટે લાખો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી જામનગર શહેરમાં મુખ્ય માર્ગો પર પડેલ ખાડાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. હાલ નવરાત્રી સહિતના તહેવારો ચાલી રહ્યા હોય ત્યારે ખાડાના કારણે અકસ્માત સર્જાઇ તો જવાબદાર કોણ ? આથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં માર્ગ ઉપર પડેલા ખાડાઓ અને રસ્તાઓના રીપેરીંગ કામ ક્યારે શરૂ કરવામાં આવશે તેવી લોક માંગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે.
સળગતા સવાલ
જામનગરની જનતાને ક્યારે મળશે સારા રસ્તા?
ચોમાસુ પૂર્ણ થયું છતા રસ્તાનું સમારકામ કેમ શરૂ ન થયું?