જામનગરના પ્રકૃતિપ્રેમી વિઠ્ઠલભાઈની અથાગ મહેનત અને વૃક્ષો પ્રત્યેના પ્રેમે પથ્થરો પર હરિયાળી લહેરાવી દીધી છે, વિઠ્ઠલભાઈ છેલ્લા 18 વર્ષથી વૃક્ષો ઉગાડી રહ્યા છે અને ખરા અર્થમાં તેનું જતન પણ કરી રહ્યા છે.
જામનગરના એક પ્રકૃતિપ્રેમીની વાત
એક બીમારીએ બદલી નાખ્યું જીવન
એમની મહેનતથી પહાડો પર ખિલી હરિયાળી
કોઈ આદમીના પર્યાવરણપ્રેમને ઝનૂનનો સાથ મળે તો કેવું ભગીરથ કાર્ય થાય તેની હવે વાત કરીશું. એક વ્યક્તિની અથાગ મહેનત અને વૃક્ષો પ્રત્યેના પ્રેમે પથ્થરો પર હરિયાળી લહેરાવી દીધી છે, હાં આપણે વાત કરી રહ્યા છીએ જામનગરના એક અનોખા પર્યાવરણ પ્રેમીની કે જેમણે રાત દિવસ મહેનતથી અને લોકસહયોગથી 16 હજાર વૃક્ષોનો ઉછેર અને જતન કરીને એક આખું પ્રાકૃતિક પ્રવાસન સ્થળ વિકસાવ્યું છે. કોણ છે પર્યાવરણ પ્રેમી અને કેવું છે તેમણે વિકસાવેલું પ્રાકૃતિક સ્થળ જોઈએ આ અહેવાલમાં...
વિઠ્ઠલભાઈની જહેમત હવે લાવી રહી છે રંગ
જામનગર તાલુકાની ખીમલીયાની સીમમાં ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની ઓળખાતી જગ્યાના છે. આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને એનો સંપૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સવજીભાઈ મુંગરાની મહેનત અને જહેમતને જાય છે. વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 18 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર હરિયાળી લીલીછમ ચાદર પાથરવાની જહેમત કરી રહ્યા છે અને એ જહેમત હવે રંગ લાવી રહી છે.
બીમારીથી સ્વસ્થ થતાં વૃક્ષો માટે સમર્પિત કરી દીધું પોતાનું જીવન
વર્ષ 2004માં વિઠ્ઠલભાઈએ બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું. તેમને અલ્સરની બીમારી થઈ હતી. બીમારીના સમયમાં તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠેબા નજીક આવેલા `બે ભાઈના ડુંગર'ના નામથી જાણીતી જગ્યાએ આવ્યા હતા અને અહીંથી તેમને પર્યાવણ પ્રત્યે પ્રેમનું બંધન બંધાઈ ગયું. પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુક્ત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યુ અને તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું.
અનેક લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવી રહ્યા છે
હાલ આ જગ્યાએ અનેક લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવી રહ્યા છે. ડુંગરની જગ્યાને વિઠ્ઠલભાઈ દ્વારા એટલી બધી વિકસાવવામાં આવી છે કે જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાની મુલાકાત લેવા માટે આવે છે. તેમજ રવિવાર અને તહેવારોના સમયમાં અહી ખૂબજ મોટી સંખ્યા લોકો મુલાકાત લેવા માટે આવે છે..