જામનગર: પાંચ-છ સદીઓથી જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો આપવામાં આવે છે. આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.
સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો નાઇ સમાજના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે. તેનું અનુમાન કરવામાં આવે છે. આ પરંપરા માટે દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આખરી રૂપ આપે છે.
ઉલ્લેખનીય છે કે આ વિધિ પૂર્વે મંદિરમાં પૂજા કરી ધજા ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ ઉપર આફત આવી હતી. જે તે સમયે આ કૂવામાં રોટલો પધરાવ્યા બાદ આફત ટળી હતી.
ત્યારથી આ રીત સ્થાનિકોએ અપનાવી હોવાનું માનવામાં આવે છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કર્યુ છે. પાછળથી સારો વરસાદ થશે તેવું અનુમાન કરવામાં આવ્યુ છે.