જામનગરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં અનેક સ્થળોએ પાણીના પાઉચનું વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ દરોડા પાડયા છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ 5 ટીમે દરોડા પાડયા અને લીમડાલાઈન પ્રણામી સ્કૂલ અને બેડીગેટ વિસ્તારમાંથી પાણીના પાઉચ અને ચ્હા-પાણીના પ્લાસ્ટિકના કપ જપ્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મોટાભાગના શહેરો અને ગામડાઓમાં પાણીના પાઉચનો ઉપયોગ સખત રીતે વધ્યો છે. લોકો પાણીના પાઉચનો ઉપયોગ કરી જાહેર સ્થળો પર જેમ ફાવે તેમ કોઇપણ જગ્યાએ ફેંકતા હોય છે.
બેફામ રીતે થયેલા પ્લાસ્ટીકના ઢગલાને કારણે શહેરની સ્વછતા જોખમાય છે. તેમજ આવા પ્લાસ્ટિક પશુઓના પેટમાં જવાથી અનેક સમસ્યાઓ ઉદભવે છે. પ્લાસ્ટીકના કારણે પશુઓના મોત પણ નિપજ્યા છે તથા ઓપરેશન સમયે કેટલાય કિલો પ્લાસ્ટીકનો જથ્થો પણ મળી આવ્યો છે.
ત્યારે રાજકોટ દ્વારા પર્યાવરણ દિવસથી પ્લાસ્ટીકના પાઉચ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો આ પહેલ રાજ્યના ઘણા બધા શહેરઓ અપનાવી હતી જેના ભાગરૂપે જામનગર ખાતે પણ પાણીના પાઉચનું વેચાણ કરી રહેલા લોકો પર પ્રતિબંધ લાદતા આજરોજ મનપાની 5 ટીમ દ્વારા દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.