જામનગરના જમીન માફિયા જયેશ પટેલની લંડનથી ધરપકડ થઇ ચૂકી હોવાનું જણાઇ રહ્યું છે. તો બીજી તરફ વકીલ કિરીટ જોશીના હત્યારાની કોલકાતાથી ધરપકડ કરાઇ છે.
જમીન માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો: સૂત્ર
આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે: સૂત્ર
ભારત લાવવા માટે મંજૂરી માંગવામાં આવશે
જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા કુખ્યાત જમીન માફિયા જયસુખ મૂળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ લંડનથી ઝડપાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જમીન માફિયા જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારત લાવવા માટે કોર્ટમાં મંજૂરી માંગવામાં આવશે.
ખંડણી માટે કોલ કરતા ભાંડો ફૂટ્યો હતો
મહત્વનું છે કે, 2 મહિના અગાઉ બ્રિટનમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ બ્રિટનમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ખંડણી માટેના કોલ્સ ટ્રેસિંગ કરાતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ભારતે બ્રિટનને જયેશ પટેલને ઝડપવા માટે તાકીદ કરી હતી. રજૂઆતમાં ઈન્ટર પોલની નોટિસનો પણ ઉલ્લેખ કરાયો હતો. વકીલ કિરીટ જોષીની હત્યાના કેસમાં ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી.
કોણ છે જયેશ પટેલ?
જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે. 2018માં અમદાવાદના 2, રાજકોટથી 1 એમ કુલ 3 સાગરિતોની ધરપકડ થઈ હતી.
જયેશ પટેલ સામે હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના
મહત્વનું છે કે, જયેશ પટેલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવી, હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના દાખલ છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવણી છે. લાંબા સમયથી ફરાર જયેશ પટેલને જામનગર સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટ, કાવતરા અને ધાક-ધમકીના કેસમાં હાજર થવા આદેશ પણ આપ્યો હતો. જોકે જયેશ પટેલ હાજર થયો ન હતો.
SP ભદ્રનની નિમણૂંક બાદ જામનગરમાં જયેશ પટેલ પર કાર્યવાહી
જમીન માફિયા જયેશ પટેલ અને તેની ગેંગને નેસ્તનાબૂદ કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે જામનગરમાં SP તરીકે દીપન ભદ્રનની નિમણૂંક થયા બાદ જયેશ પટેલના કારનામા રાજ્યચર્ચિત બની ગયા છે.
વકીલ કિરીટ જોશીના હત્યારાઓની કોલકાતાથી ધરપકડ
તો બીજી તરફ જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. દિલીપ, હાર્દિક ઠક્કર અને જંયત ગઢવીની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસની ધરપકડ જામનગર પોલીસને સોંપાઇ હતી. જયેશ પટેલની વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવણી છે.
જયેશ પટેલ અને તેના સાગરિતો પર એક્શન
જયેશ પટેલના સાગરિત અતુલ ભંડેરી, વસરામ મિયાત્રા, નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા, જીગર ઉર્ફે જીમ્મી આડતિયા, અનિલ પરમાર, પ્રફુલ્લ પોપટ, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, અનીલ ડાંગરિયા, વકીલ વી.એલ. માનસતા હાલ જેલ હવાલે છે. જ્યારે રમેશ અભંગી અને સુનિલ ચાંગાણી ફરાર છે. જ્યારે જયેશ પટેલની બ્રિટનમાંથી ધરપકડ કરાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.