સૌરાષ્ટ્રના વિસ્તારનો રેલ વ્યવહાર થોડા સમય ખોરવાશે. આજથી 10 દિવસ સુધી રેલ વ્યવહાર ખોરવાશે. જામનગર ઈન્ટરસિટી આવતી કાલથી રદ કરાઇ છે. રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરીને લીધે સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને માઠી અસર થશે. 2 ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઇ તો 4 ટ્રેનો આંશિક રદ્દ કરાઇ છે જ્યારે 5 ટ્રેનો મોડી દોડશે. વેકેશન દરમિયાન જ રેલવે વ્યવહાર ખોરવાશે.
જામનગર ઈન્ટરસિટી બંને તરફની સંપૂર્ણપણે રદ
રાજકોટ રેલવે ડિવિઝન હેઠળનાં સુરેન્દ્રનગર - રાજકોટ સેક્શનમાં દિગસર અને મૂળી વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીને લઈને 2જી મે સુધી સૌરાષ્ટ્રનો અમદાવાદ તરફનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. જામનગર ઈન્ટરસિટી બંને તરફની સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે ચાર ટ્રેન આંશિક રદ અને પાંચ ટ્રેનો મોડી દોડશે. જો કે, એવાં હજારો મુસાફરો કે જેમણે એડવાન્સ ટિકટ બુક કરાવી હોય તેઓ પરેશાનીમાં મૂકાયા છે.
તમને જણાવી દઇએ કે, ચાર ટ્રેનો જે આંશિક રદ કરવામાં આવી છે તેમાં ભાવનગર - ઓખા તા. 23મીથી તા. 30એપ્રિલ સુધી અને ઓખા - ભાવનગર તા. 24મીથી તા. 1લી મે સુધી આંશિક રદ કરવામાં આવી છે. આ ટ્રેન બંને તરફ સુરેન્દ્રનગરથી ઓખા સુધી રદ કરાઈ છે. ઓખા - ભાવનગર સુરેન્દ્રનગરથી આગળ જશે. તદુપરાંત અમદાવાદ - સોમનાથ ઈન્ટરસિટી તારીખ 24 મીથી તારીખ 1 મે અને ટ્રેન નં 19120 સોમનાથ - અમદાવાદ ઈન્ટરસિટી તા. 24 મીથી તા. 1 મે સુધી સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે.
આ ટ્રેનમાં બંને તરફ સોમનાથથી સુરેન્દ્રનગર સુધીનો રૂટ આંશિક રદ કરવામાં આવ્યો છે. તારીખ 24 મીથી તારીખ 1 મે સુધી 5 ટ્રેનો મોડી દોડશે. તેમાં હાપા-મુંબઈ રોજ 30 મિનિટ, મુંબઈ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ 10 મિનિટ, હાપા - બિલાસપુર દર રવિવારે 25 મિનિટ, જામનગર - તિરૂન્નાલવેલી દર રવિવારે 25 મિનિટ, જામનગર - બાંદ્રા હમસફર એકસપ્રેસ દર રવિવારે અને મંગળવાર અને શુક્રવાર 25 મિનિટ મોડી દોડશે તેમ રેલવેનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું.