જામનગર માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારો માટે આજે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. તો માર્કેટિંગ યાર્ડની સત્તા મેળવવામાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે હરીફાઈ થઈ રહી છે.
રાઘવજી પટેલ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પેનલ વચ્ચે આ જંગ છે. તો ભાજપ હાઈકમાન્ડ પણ આ બંન્ને નેતાઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે યાર્ડની કુલ 14 બેઠકો માટે 29 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કઈ પેનલને માર્કેટિંગ યાર્ડની સત્તા મળે છે.
મહત્વનું છે કે જામનગર ભાજપમાં ભડકો થયો છે. શિસ્તબદ્ધ પક્ષની છાપ ધરાવતા ભાજપનાં જ બે દિગ્ગજ નેતાઓ સત્તા માટે સામસામે આવતા કાર્યકરો પણ મૂંઝવણમાં મુકાયાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા એવાં રાઘવજીભાઈ પટેલને જામનગરમાં વિધાનસભાની ટીકીટ મળી હતી પરંતુ આ બેઠક પર તેઓની હાર થઇ હતી. ત્યારે હવે તેઓ માર્કેટિંગ યાર્ડ જ જાણે કે એક સત્તા ભોગવવાનું સાધન હોય તે રીતે પૂર્વ મંત્રી એવા રાઘવજીભાઈ તેઓનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.