કોણ કહે છે કે, એટીએમ માંથી માત્ર નાણાં જ નીકળે છે. એટીએમ માથી દૂધ અને છાસ પણ નીકળે છે. સાંભળીને નવાઈ લાગશે પણ જામનગરમાં દૂધ અને છાસ માટે પણ એટીએમ સેવા શરૂ થઈ છે. અહીં એટીએમમાંથી ચોવીસ કલાક દૂધ અને છાસ મળી રહે છે. તો કેવી છે આ ઓટોમેટિક છાસ દૂધના ટ્રાન્જેક્શનની સેવા જોઈએ અમારા આ અહેવાલમાં.
આજ સુધી તમે મની ટ્રાન્જેક્શન માટેના એટીએમ જોયા હશે અને તેનો વપરાશ પણ કર્યો હશે. કેમકે શહેરોમાં અને નાના ગામડાઓમાં પણ હવે એટીએમની સુવિધા ઊભી થઈ ચૂકી છે. પરંતુ આજે અમે તમને એક એવા એટીએમનો પરિચય કરાવીશું જેને જોઈને તમે માત્ર નવાઈ જ નહીં પરંતુ તે તેનો લાભ લેવા પણ લલચાશો.
ખેડૂતે શરૂ કરી નવતર સેવા
જામનગર શહેરના ગોકુલનગર અને દરેડ વિસ્તાર પાસે છાસ દૂધની સેવા માટે એક પ્રગતિશીલ ખેડૂતે બે એટીએમ ઊભા કર્યા છે. જેમાંથી લોકો પોતાની જરૂરિયાતના સમયે અને પોતાની અનુકૂળતાએ ગમે ત્યારે છાશ દૂધની ખરીદી કરી શકે છે. જામનગર નજીકના ચેલા ગામના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈ નકુમ દ્વારા છાશ દૂધની એટીએમની નવતર સેવા શરૂ કરવામાં આવી છે. લખમણભાઈ પોતે એક ખેડૂતપુત્ર છે.
સિક્કા કે પરચૂણ સ્વીકારતું નથી ATM
આ પ્રકારના એટીએમના સ્થાપનથી દરેડ અને ગોકુલનગરના નાગરિકોને ઘણી સરળતા ઊભી થઈ છે. લોકો વાજબી ભાવે ગુણવત્તાયુક્ત દૂધ ખરીદી શકે છે અને એ પણ પોતાના સમયે દૂધ કે છાશની ખરીદીનું પ્રમાણ ભલે વધતું કે ઓછું હોય તો પણ દૂધ છાશની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી. આ છાસ દૂધના એટીએમની ખાસિયત એ છે કે, તે સિક્કા કે પરચૂણ સ્વીકારતું નથી અને બીજી ખાસિયત એ છે કે તમે જેટલી કિંમતની નોટ નાખી હોય તેટલું જ દૂધ મળે છે. આ મશીનમાં પૈસા પરત કરવા જેવી કોઈ સિસ્ટમ નથી.
ચલણી નોટ નાંખી મેળવી શકાય છે દૂધ છાશ
આપને જણાવી દઇએ કે, આ દૂધ છાશના મશીનમાં ચલણી નોટ નાંખી કોઈ પણ વ્યક્ત કોઈ પણ સમયે દૂધ-છાસ મેળવી શકે છે પરંતુ જો રોકડા રૂપિયાથી દૂધ છાશ ન ખરીદવા હોય તો એટીએમના ઓનરે તેનો વિકલ્પ પણ આપ્યો છે. તેના માટે દૂધ છાશ ખરીદી કાર્ડની પણ વ્યવસ્થા કરી આપી છે. એ સુવિધા માટે પહેલા એટીએમ માલિક પાસેથી એટીએમ એ વિશેષ બનાવેલા કાર્ડમાં નાણા રિચાર્જ કરાવવા જરૂરી છે. રિચાર્જ કરી પછી તેનાથી દૂધ છાશની ખરીદી કરી શકાય છે. બેલેન્સ પૂરું થઈ ગયા બાદ ફરી રીચાર્જ કરાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.
આવડત, સાહસ અને કોઠા સૂઝ સર્જી સિદ્ધી
એક પ્રગતિશીલ ખેડૂત નામે લખમણભાઈની આ પહેલને જામનગર શહેરના દરેડ અને ગોકુલનગર વિસ્તારના લોકોનો સારો પ્રતિસાદ સાંપડયો છે. લોકો આ સેવાને બિરદાવી રહ્યા છે. આજનો ખેડૂત એ માત્ર ખેતી કરી બેસી રહેનારો ખેડૂત નથી. તે પોતાની આવડત, સાહસ અને કોઠા સૂઝનો પરિચય હમેંશા દેશ અને સમાજને કરાવતો જ રહે છે. ત્યારે તેમાં એક વધારે છોગું જાનગરના આ ખેડૂતે ઉમેર્યું છે. તેમની આ પહેલ માત્ર વ્યાવસાયિક રીતે જ નહીં પરંતુ નાગરિકોને ગુણવત્તા ભરી જીવનશૈલીની એક ઝલક આપવા બદલ પણ બિરદાવવા લાયક છે.