જામનગરમાં છેલ્લા 24 કલાકથી મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેમાં સૌથી વધુ જોડિયામાં સવા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં 1.5 ઈંચ, લાલપુરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નવુ જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર છેવાઈ છે.
જામનગરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતાં જામનગર જિલ્લાના 8 ડેમ ઓવરફ્લો થયા છે. પન્ના, ફોફળ-2, ઉંડ-2,3,4, રંગમતી, કંકાવતી અને વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે.
ઉપરવાસમાં સતત વરસાદ થતા બાલંભડી, ઉમિયાસાગર, આજી-4 અને ફુલજરમાં પાણીની આવક થઈ રહી છે. જામનગરની જીવાદોરી સમા રણજિત સાગર ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 20 ફૂટે પહોંચી છે.
રામપર ગામનું તળાવ બીજી વખત ફાટ્યું
જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે રામપર ગામનું તળાવ બીજી વખત ફાટ્યું છે. તંત્ર દ્વારા અઠવાડિયા પહેલાં જ તળાવ ફાટયા બાદ બોરી બંધ બાંધ્યો હતો. ભારે વરસાદના પગલે બોરી બંધ તૂટ્યો છે. જો કે તળાવ ફાટતાં પાણી ગામમાં ઘૂસી ગયા છે. જો કે તંત્રને રજૂઆત કરવા છતાં કામ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ભાણવડનો સતસાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
જામનગરના ભાણવડ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેને લઇને સતસાગર ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. બરડા ડુંગરમાંથી વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાણવડમાં આવેલ ફલકું નદીમાં પાણીની આવક જોવા મળી છે.