જામનગરના ઇરફાન અને જયેશ પટેલ વચ્ચેની વાતચીની કથિત ઓડીયો ક્લીપ વાયરલ થયાનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ જયેશ પટેલની વાયરલ ઓડિયો ક્લિપમાં નામ આવતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો કે, અમારે જયેશ પટેલ કે અસામાજીક તત્વો સાથે કોઈ સંબધ નથી. તેવામાં હવે ધર્મેન્દ્રસિંહના ખુલાસા બાદ પરિમલ નથવાણીએ સૂચક ટ્વીટ કર્યું છે.
ધર્મેન્દ્રસિંહના ખુલાસા બાદ પરિમલ નથવાણીનું સૂચક ટ્વીટ
દૂધનું દૂધ અને પાણીનું પાણી થશેઃ નથવાણી
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભૂમાફિયા જયેશ પટેલ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો ફગાવ્યા હતા
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભૂમાફિયા જયેશ પટેલ સાથે સાંઠગાંઠના આક્ષેપને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ જયેશ પટેલ સાથેના સંબંધોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે હવે જામનગરમાં ભૂ-માફિયાઓ બે-લગામ બનાવા મામલે મંત્રી ધર્મેન્દ્રસિંહના ખુલાસા બાદ સાંસદ પરિમલ નથવાણીએ સૂચક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને સત્ય પોતાની રીતે પ્રગટ થશે. જામનગર અને હાલારની જનતા ખૂબ સમજૂ છે. જનતા જાણે છે કોણ શું કરે છે અને ક્યાં સાંઠગાંઠ છે.
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભૂમાફિયા જયેશ પટેલ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો ફગાવતા કહ્યું કે, અમારે જયેશ પટેલ કે અસામાજીક તત્વો સાથે કોઈ સંબધ નથી. પાયાવિહોણા આક્ષેપો સામે તપાસની માગ કરી છે. ગુંડાતત્વો સાથે મારુ નામ જોડવા પાછળ ષડયંત્ર છે. મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે. આક્ષેપબાજી કરી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાનો ઇરાદો છે. કોઈ પુરાવા હોય તો રજૂ કરે હું જવાબ આપીશ. આક્ષેપ પુરવાર થાય તો સજા ભોગવા તૈયાર છું.
મંત્રી ધર્મેન્દ્રસિંહે કહ્યું કે, સરકારી ડિપાર્ટમેન્ટ યોગ્ય રીતે તપાસ કરાવે. જમીન પચાવી પાડવાના આક્ષેપો ખોટા છે. જેટકોના કામ અમારા પરિવારના સભ્યોએ કર્યા જ નથી. કંપનીઓને ડરવ્યા-ધમકાવ્યાની વાત પાયાવિહોણી છે.
જયેશ પટેલની ઓડિયો ક્લિપ આવી હતી સામે
જયેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ સામે આવી હતી. આ ઓડિયો ક્લિપમાં જયેશ પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. પૂનમ માડમના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિપક્ષે વિરોધ કર્યો હતો. આ વિરોધ કરનારાઓને પૂનમ માડમના સલાહકારે ધમકી આપ્યાનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. વિરોધ કરનારાને ધમકી મળતા જયેશ પટેલ વચ્ચે પડ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જયેશ પેટલે વિરોધ કરનારાને પોતનો માણસ ગણાવ્યો છે. સાંસદ પૂનમ માડમ એક સમાજના યુવાનોને ટાર્ગેટ કરતા હોવાનો જયેશ પટેલે આક્ષેપ કર્યો છે. ઇરફાનને જયેશ પટેલના માણસને ફરિયાદ કરવા માટે ન આવવા જણાવ્યું હતું. ઇરફાને આડકતરી ભાષામાં વિરોધ કરનારા વ્યક્તિને આડકતરી ધમકી આપી હતી. જયેશ પટેલે કહ્યું કે, જો વિરોધ કરનારને મારશો તો મજા નહીં આવે, તેઓ કાયદાકીય ફરિયાદ કરે તો વાંધો નહી પણ છોકરા પર હાથ ના ઉપાડતા.
જામનગર ખાતે વધુ 2 પીઆઇની નિમણૂંકના સ્પેશિયલ ઓર્ડરથી પોલીસ બેડામાં ચર્ચા શરૂ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકવામાં આવ્યા છે. આ બંન્ને પીઆઇની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા પણ ચાલી રહી છે. SP પોતાની વિશ્વાસુ ટીમ સાથે મેદાને ઉતરે તેવી પ્રબળ સંભાવના સેવાઇ રહી છે. તો જમીન માફિયા જયેશ પટેલનો ગાળિયો કસાતો હોવાની આશંકા છે. નોંધનીય છે કે, જયેશ પટેલ સામે જમીન કૌભાંડ, હત્યા સહીતના 40 ગુનાઓ નોંધાયેલા છે.