જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ થઇ ગઇ છે. બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઇથી ઝડપી લીધા છે. આરોપીઓની પૂછરપરછમાં ખુલાસો થયો છે કે તેમને જયેશ પટેલે કિરીટ જોષીની હત્યા માટે 50 લાખ આપ્યા હતા. આ મામલે હાલ ક્રાઇમ બ્રાંચે બંન્ને આરોપીઓની ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેનીય છે કે બહુ ઓછા સમયમાં જાણીતા બનેલ જામનગરના વકીલ કિરીટ જોષી પોતાની ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે મોડી સાંજે તેમના પર ખૂની હુમલો કરવામાં આવેલ.જેના કારણે વકીલ જોષી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું છે. આ હુમલો વકીલની ઓફિસની બાજુમાં જ થયો હતો.
જો કે આ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. અને CCTVના આધારે આ સમગ્ર હાલ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અને હાઇવે પર નાકાબંધી કરી છે. જ્યારે વકીલની હત્યાથી વકીલ મંડળમાં રોષ છે. જેને લઇને સોમવારે જામનગર વકીલ મંડળે કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ મામલે હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચ કરે તેવી માંગણી કરવામાં આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ જામનગર પહોંચી હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાંન્ચે મુંબઇ ખાતેથી વકીલના હત્યારાઓની ધરપકડ કરી અને પૂછપરછ કરાતા બંન્ને લોકોએ કબૂલાત કરી હતી કે વકીલની હત્યા કરવા માટે જયેશ પટેલ નામના વ્યક્તિએ 50 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે પોલીસે આ મામલે નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી જો કે આગામી સમયમાં જ ખબર પડશે કે આ હત્યામાં કોણ સંડોવાયેલા છે અને કોના કહેવાથી વકીલનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.