જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. કિરીટ જોશીની હત્યાનો અંજામ બે સગા ભાઇઓએ આપ્યો હતો. અમદાવાદના જ બે સગાભાઇઓએ કિરીટ જોશીની હત્યા માટે સોપારી લીધી હતી.
આ બંને ભાઇઓ જેલમાં બંધ હતા. કિરીટ જોશીની સોપારી મળતા એક ભાઇએ રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાવી હતી. મળતા અહેવાલો મુજબ કિરીટ જોશીની હત્યાનું કાવતરૂ 8 મહિના પહેલા ઘડાયું હતું.
બિલ્ડર જયેશ પટેલે કિરીટ જોશીની હત્યા માટે 2 કરોડની સોપારી આપી હતી. અને હત્યાના કાવતરાના ભાગરૂપે બે ભાઇઓમાંથી એક ભાઇએ અમદાવાદ જેલમાંથી રાજકોટની જેલમાં ટ્રાન્સફર મેળવી હતી.
6 મહિના પહેલા પેરોલ મેળવી બંને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. અને 29મી એપ્રિલે કિરીટ જોશીની હત્યાને અંજામ આપ્યો હતો. જયેશ પટેલ પણ એક હત્યાના ગુનામાં અમદાવાદની જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તે બંને ભાઇઓના સંપર્કમાં આવ્યો હતો.
જેલમાં સંપર્કમાં આવ્યાબાદ જયેશ પટેલે આ બંને ભાઈઓને કિરીટ જોશીની હત્યા માટે 2 કરોડની સોપારી આપી હતી. મળતી વિગત મુજબ હત્યાકેસમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક રાજકોટથી ખરીદાયેલી હતી.