જમ્મૂ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. પુલવામાં જિલ્લામાં શનિવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ અને એક તેના મદદગારને ઠાર માર્યો છે. પોલીસના એક અધિકારીના જણાવ્યાં અનુસાર સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં અવંતીપુરાના ગોરીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સુચના મળી હતી. જો કે આતંકીઓ છૂપાયા હોવાની સુચના મળતાં સેનાએ આજરોજ વહેલી સવારે વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ
2 આતંકી અને 1 આતંકીનો મદદગાર ઠાર મરાયો
સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
આ દરમિયાન આતંકીઓને પોતે ઘેરાઇ ગયા હોવાની જાણ થતાં સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લઇને જવાબી કાર્યાવાહી કરી હતી. જો કે સેના અને આતંકીઓ વચ્ચે લાંબો સમય ચાલેલી અથડામણ બાદ બે આતંકી અને એક તેનો મદદગારને ઠાર માર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હાલમાં માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઇ શકી નથી.
આ અગાઉ જમ્મૂ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં બુધવારના રોજ સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાકર્મીઓને સૂચના મળી હતી કે આ વિસ્તારના મેલહૂરા ગામમાં આતંકીઓ છુપાયા છે. આ સૂચના પર સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને SOG ની ટીમે ગામને ઘેરી લીધું હતુ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
સેના દ્વારા ગામને ઘેરી લીધાની જાણ થતાં મકાનમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. જો કે સૌ પહેલા સુરક્ષાદળોએ આતંકીઓને સમર્પણ અંગે જણાવ્યું હતું. તેમ છતાં આતંકીઓએ ફાયરિંગ ચાલુ રાખતા સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસના એક અધિકારીઓના જણાવ્યાં અનુસાર સુરક્ષાદળોએ શોપિયાના મેલહૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની ખાનગી માહિતી મળ્યા બાદ મંગળવાર રાતથી જ ગામને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.