જમ્મુ કાશ્મીરમાં હાલ રાજધાની બદલવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કોરોનાના કારણે તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે જે પણ જે સ્થળ પર કામ કરી રહ્યા છે, ત્યાં જ કામ કરે. દર વર્ષે એપ્રિલમાં જમ્મુમાં દરબાર બંધ કરવાની સાથે સમર કેપિટલ શ્રીનગરમાં કામ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ પ્રક્રિયા 15 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. રાજ્ય સરકારે સામાન્ય તંત્ર વિભાગે આને લઇને એક આદેશ પણ આપ્યો છે. આ આદેશની સાથે જ રાજ્યમાં 150 વર્ષ જૂની દરબાર મૂવની પરંપરા પણ બદલી છે. મોટી વાત એ છે કે ઘાટીમાં તમામ મુશ્કેલ પરિસ્થિતિઓ હિંસા અને આતંકના સમયમાં પણ આ પ્રક્રિયા પર કોઈ અસર નહોતી પડી.
એપ્રિલમાં થતી હતી સમગ્ર પ્રક્રિયા
જૂનમાં ફરી સમીક્ષા કરવામાં આવશે
દરવર્ષે બે વખત થાય છે દરબાર મૂવ
જમ્મુ કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતિઓને જોતા દર વર્ષે ઓક્ટોબર અને એપ્રિલ મહિનાઓમાં અહીંની રાજધાની બદલવામાં આવી રહી છે. આ પરંપરાની શરૂઆત 1872માં થઈ હતી. જમ્મુ કાશ્મીરના તત્કાલિન રાજા રણવીરસિંહે આ વ્યવસ્થાને લાગૂ કરતા 6 મહિના જમ્મુ અને 6 મહિના શ્રીનગરથી કામ કરવાની વ્યવસ્થા કરી હતી.
એપ્રિલમાં થતી હતી સમગ્ર પ્રક્રિયા
આ પરંપરા હેઠળ દરવર્ષે એપ્રિલ મહિનામાં અંદાજિત 800 વાહનોથી જમ્મુ સ્થિત નાગરિક સચિવાલયથી ફાઇલો અને અન્ય સામાનને શ્રીનગર મોકલવામાં આવતો હતો. ત્યારે ઓક્ટોબરમાં હિમ વર્ષા પહેલા સમગ્ર સામાન જમ્મુમાં શિફ્ટ કરવામાં આવતો હતો. આ સમગ્ર પ્રક્રિયાને દરબાર મૂવનું નામ આપવામાં આવ્યું હતું.
જૂનમાં ફરી સમીક્ષા કરવામાં આવશે
આ વર્ષે સરકારે પરિસ્થિતિઓને જોતા શ્રીનગર સચિવાલયના કામને 4 મેથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ કર્મચારીઓને શિફ્ટ કરવાની પ્રક્રિયા 15 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સરકારના સામાન્ય તંત્ર વિભાગના સચિવ ફારૂક અમહદ લોને કહ્યું કે તમામ કર્મચારીઓ હાલ જ્યાંથી કામ કરી રહ્યા છે, તેઓ આગામી સમયમાં પણ ત્યાંથી જ પોતાનું કામ કરતા રહે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે શ્રીનગરમાં સચિવાલય ખુલવા છતા જમ્મુ કાશ્મીર સચિવાલયથી કામકાજ થતું રહેશે.
દરવર્ષે બે વખત થાય છે દરબાર મૂવ
જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાં દરવર્ષે દરબાર મૂવની પરંપરા પૂર્ણ કરવામાં આવે છે. આ પરંપરામાં દરવર્ષે 600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ પરંપરા હેઠળ દરવર્ષે રાજધાની બદલાતા સરકારી કામકાજને બે જગ્યાઓથી પૂરુ કરવામાં આવે છે. સાથે જ કર્મચારીઓને રહેવા માટે શ્રીનગર અને જમ્મુની કેટલીક હોટલો પણ અનામત કરવામાં આવે છે. દરબાર મૂવ દરમિયાન જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરીને સચિવાલયના સામાનને 800થી વધુ વાહનોથી જમ્મુ અને શ્રીનગર વચ્ચે શિફ્ટ કરવામાં આવે છે.