જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના (Udhampur) સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. જેમાં એકનું મોત નિપજ્યું છે તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
જમ્મુ-કશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ
એકનું મોત તો 10થી વધુ ઘાયલ
બ્લાસ્ટની તપાસ આતંકવાદી એંગલથી શરૂ
આ બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ અંગેની માહિતી મળતા જ ઘટનાસ્થળે તુરંત પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ બ્લાસ્ટ કેવો છે? આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી જ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. કદાચ ઘાયલોની સંખ્યા કે મોતનો આંક વધે તો નવાઇ નહીં.
Seven injured in a blast at Slathia Chowk in Udhampur: Jammu &Kashmir Police
પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળી રહ્યું છે કે, આ વિસ્ફોટ શાકભાજી વેચનારની ગલીમાં થયો હતો. બીજી તરફ PMO માં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે એક મેસેજમાં જણાવ્યું કે, ઉધમપુરના તહસીલદાર ઓફિસ પાસે રેહડીમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓ આ બાબતે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યાં છે. એ સિવાય તમામ ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેનું પણ કહેવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી આ વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.
લાલ ચોક પર પણ થયો હતો હુમલો
આ સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોક પર આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના લાલ ચોકના અમીરા કડાલ વિસ્તારમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેઓની સારવાર કરાઇ. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાયું છે.
ગ્રેનેડ હુમલામાં બે લોકોની ધરપકડ
રવિવારે થયેલા ગ્રેનેડ હુમલામાં મંગળવારે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય 36 લોકો ઘાયલ થયા હતા. આ અંગેની પોલીસે સમગ્ર માહિતી આપી હતી. મોહમ્મદ બારિક નામના પ્રથમ આરોપીની ખાનયારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ બીજા અન્ય આરોપી ફાઝીલ નબી સોફીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રેનેડ હુમલામાં વપરાયેલ ટુ-વ્હીલર પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જપ્ત કરી લેવાયું છે. આ SIT ની રચના આતંકી હુમલા બાદ તુરંત કરી લેવાઇ હતી.