જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પુલવામાના કંગન ક્ષેત્રમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. 55 રાજપૂતાના રાઇફલ્સની આગેવાનીમાં આતંકવાદીઓ વિરૂદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં પણ 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે દિવસભરમાં 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
જમ્મુ કાશ્મીરના કંગન ક્ષેત્રમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં 55 રાજપૂતાના રાઇફલ્સની સાથે જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ પણ સામેલ છે. આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે આતંકવાદીઓની ઓળખ નથી થઇ શકી. તેમની પાસેથી કેટલાક હથિયારો મળી આવ્યા છે જેમાં 2 AK 47 રાઇફલ પણ સામેલ છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આજે વહેલી સવારે કૂલગામ જિલ્લાના ચીનગામ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઢાળી દીધા હતા. અહેવાલો અનુસાર ઇન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી ઇનપુટ્સ મળ્યા બાદ સુરક્ષાદળોએ કૂલગામ જિલ્લાના ચીનગામ વિસ્તારને કોર્ડન કરીને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
મનકોટ વિસ્તારમાં પાકિસ્તાની દળોએ યુદ્ધવિરામનો ભંગ કર્યો
બીજી બાજુ જમ્મુના પુંચ સેક્ટરમાં મનકોટ વિસ્તારમાં પાકિસ્તાની દળોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળો પર આજે ફાયરિંગ કર્યું હતું, જોકે ભારતીય દળોએ પણ વળતું ફાયરિંગ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ પાકિસ્તાની સેનાએ ઉત્તર કાશ્મીરના નવગામ સેક્ટરમાં ભારતીય સેના અને નાગરિકોનાં રહેઠાણ પર ફાયરિંગ કર્યું હતું. તેના જવાબમાં ભારતીય જવાનોએ પણ વળતું ફાયરિંગ કરીને પાક. દળોને નિશાન બનાવ્યાં હતાં. આ ઓપરેશન દરમિયાન ઘેરાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરતાં તેના જવાબમાં ફાયરિંગ કરીને સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન સમાપ્ત થઇ ગયું છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં કોઇ જગ્યાએ આતંકી છુપાયા હોવાની શંકાના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે.
અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હજુ થઇ શકી નથી, પરંતુ ઘટનાસ્થળેથી સુરક્ષાદળોને એફએમ-૪ રાઇફલ અને એક રિવોલ્વર સહિત શસ્ત્રો હાથ લાગ્યાં છે.
ગુરુવારે રાતે પણ કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું હતું
આ અગાઉ ગુરુવારે રાતે પણ કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું હતું. નવગામ સેક્ટરમાં પાકિસ્તાની દળોએ તોપ અને મોર્ટારથી ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાને સરહદ પર આવેલાં ગામનાં ખેતરો અને સરહદી ચોકીઓ પર મોર્ટારના ગોળા દાગ્યા હતા, જોકે પાકિસ્તાનના ફાયરિંગના કારણે કોઇ મોટું નુકસાન થયું નહોતું અને સરહદી ગામના લોકો બંકરમાં છુપાઇ ગયા હતા.