જમ્મુ-કાશ્મીરમાં દૈનિક જીવન પાટા પર ફરી રહ્યું છે. ધીરે ધીરે ઘાટી(ખીણ)માં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ શાહિદ ચૌધરીએ જણાવ્યું છે કે ઘાટી(ખીણ)માં મોટાભાગની ટેલિફોન સેવાઓ આજ રાતથી જ શરૂ કરવામાં આવશે.
કલેક્ટરે જનતાનો આભાર માન્યો
શાહિદ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, મોબાઇલ સેવાઓ પણ ધીમે ધીમે પુન:સ્થાપિત કરવામાં આવી રહી છે. કુપવાડાના કેટલાક વિસ્તારોમાં ટેલિફોન સેવાઓ પહેલેથી કાર્યરત છે. સ્થાનિક કલેક્ટરે પણ લોકોને ધૈર્ય રાખવા બદલ આભાર માન્યો હતો અને અસુવિધા બદલ માફી પણ માગી છે.
ગૃહ મંત્રાલયની નજર
નોંધનીય છે કે, અગાઉ પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કાશ્મીરમાં ટેલિફોન કનેક્ટિવિટી ફરીથી રીસ્ટોર કરવામાં આવશે. જો કે, ગૃહ મંત્રાલય જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ સચિવ ટૂંક સમયમાં કાશ્મીરની મુલાકાત લેવાના છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં સ્થળની વાસ્તવિકતા મુજબની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. દરરોજ કોઈને કોઇ તબક્કે થોડી-થોડી રાહત આપવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવે કર્યો દાવો
આ પહેલા સોમવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (પ્લાનિગ, મોનિટરિંગ અને ડેવલપમેન્ટ) રોહિત કંસલે દાવો કર્યો છે કે, ગયા અઠવાડિયે 81 ટકા વિસ્તારોમાં પાબંધીઓ નહોતી, જેનાથી વધીને 92 કરવામાં આવેલ છે. જ્યારે જમ્મુ અને લદ્દાખમાં દિવસે કોઇપણ પ્રકારનો પ્રતિબંધ નથી. ઘાટીમાં લેન્ડલાઇન સેવા પણ પુન:સ્થાપિત કરવામાં આવી છે.
95માંથી 76 એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યા
રોહિત કંસલે જણાવ્યું કે, 29 અન્ય એક્સચેન્જને પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે. હવે 95માંથી 76 એક્સચેન્જ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઘાટીમાં 26 હજાર લેન્ડલાઇન ચાલુ કરી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જમ્મુ અને લદ્દામાં મોબાઇલ ફોન સંપુર્ણ રીતે કાર્યરત છે.