આર્થિક સંકટનો સામનો કરી રહેલા જમ્મૂ-કાશ્મીરના ઉદ્યોગો માટે ઉપરાજ્યપાલ મનોજસિંહાએ 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. સિંહાએ કહ્યું કે મને આર્થિક મુસીબતોનો સામનો કરી રહેલા ઉદ્યોગ જગત માટે 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. આ પેકેજ આત્મનિર્ભર ભારત અને જમ્મૂ-કાશ્મીર તંત્ર દ્વારા કરવામાં આવેલા ઉપાયો કરતા વધારાનું હશે.
આ સિવાય ઉપરાજ્યપાલે વીજળી-પાણીના બિલ પર એક વર્ષ સુધી 50 ટકા છૂટની પણ જાહેરાત કરી છે. સિંહાએ કહ્યું, 'વીજળી અને પાણીના બિલમાં એક વર્ષ સુધી 50 ટકાની છૂટ આપવામાં આવશે. બધા લોનધારકોના મામલે માર્ચ 2021 સુધી સ્ટેમ્પ ડયૂટીમાં છૂટ આપવામાં આવશે. સારા રીપેમેન્ટ વિકલ્પોની સાથે પ્રવાસી ક્ષેત્રમાં લોકોને નાણાકીય સહાયત માટે જમ્મૂ અને કાશ્મીર બેંક દ્વારા કસ્ટમ હેલ્થ-ટૂરિઝમ યોજનાની સ્થાપના કરાશે. '
ઉપરાજ્યપાલે કહ્યું, 'અમે હાલના નાણાંકીય વર્ષમાં છ મહીના માટે કોઇપણ શરત વગર વેપારી સમુદાયના પ્રત્યેક ઉધાર લેનારા વ્યક્તિને પાંચ ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. આ એક મોટી રાહત હશે અને અહીં રોજગારી ઉભી કરવામાં મદદ મળશે.
ઉપરાજ્યપાલ સિંહાએ કહ્યું, ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, અમે હેન્ડલૂમ અને હસ્તશિલ્પ ઉદ્યોગમાં કામ કરનારા લોકો માટે મહત્તમ મર્યાદા એક લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. તેમને પાંચ ટકા વ્યાજ આર્થિક મદદ પણ દેવામાં આવશે.