આતંકીઓના નાપાક ઈરાદા સફળ ન થાય અને તેમની ગોળી સુરક્ષાદળોના જવાનોની છાતી વિંધી ન શકે તે માટે કેન્દ્ર સરકારે 'બુલેટપ્રૂફ પ્લાન' બનાવ્યો છે. કાશ્મીરમાં આતંક સામે લડનારા સીઆરપીએફના જવાનોને હવે અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવશે.
સુરક્ષા એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી આતંકીઓના નવા હથિયારથી ચિંતિત હતી. આતંકીઓ હવે ચીનમાં બનેલી સ્ટીલની ગોળીઓ વાપરતા થયા છે, જે બુલેટપ્રૂફ વાહનને પણ વિંધવામાં સક્ષમ છે. આ સ્ટીલ બુલેટ જવાનોના જૂના બુલેટપ્રૂફ જેકેટને પણ વિંધી નાંખતી હોવાથી અથડામણ થાય ત્યારે આતંકીઓનો હાથ ઉપર રહેતો હતો.
ગત 12 જૂને અનંતનાગમાં થયેલા આતંકી હુમલાની તપાસમાં સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું કે, એક ઘાયલ આતંકીએ ઘાતક સ્ટીલ બુલેટ ફાયર કરી હતી. આ ગોળી મજબૂત ધાતુ અને હાવ સુરક્ષાદળોના જવાનો ઉપયોગમાં લે છે તે બુલેટપ્રૂફ જેકેટને ભેદી શકવા સક્ષમ છે.
આ હુમલા બાદ સીઆરપીએફ (CRPF) એ કાશ્મીરમાં તહેનાત જવાનો અને અધિકારીઓને શ્રેષ્ઠ સુરક્ષા કવચ પુરું પાડવા માટે સ્ટીલ બુલેટપ્રૂફ જેકેટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાધુનિક અને મજબૂત બુલેટપ્રૂફ જેકેટ ખરીદવાનો એક તબક્કો પુરો થઈ ગયો છે અને પહેલો જથ્થો આગામી થોડા દિવસોમાં જ કાશ્મીર આવી જશે.
નવા બુલેટપ્રૂફ જેકેટ ન મળે ત્યાં સુધી કાશ્મીર ઘાટીમાં તહેનાત જવાનોને વધારે સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. સંરક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સ્ટીલ બુલેટ સહિત અન્ય ઘાતક હથિયારોના પ્રહાર ઝીલવામાં સક્ષમ અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટના નિર્માણ માટે ભારતીય કંપની એસએમપીપી સાથે 639 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.
સીઆરપીએફના આઈજી રવિદીપ સાહીએ જણાવ્યું કે, આતંકીઓ સામે અને તેમના નવા પ્લાન સામે લડવા માટે જવાનોની સુરક્ષા કરવી ખુબ જરૂરી છે. આ માટે કેટલાંક નિર્ણયો કરવામાં આવ્યા છે. આતંકીઓ દ્વારા સ્ટીલ બુલેટનો કાશ્મીરમાં પહેલો ઉપયોગ 2017 દરમિયાન સામે આવ્યો હતો.
લિતપોરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરનારા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) ના આત્મઘાતી આતંકીઓએ સ્ટીલ બુલેટનો ઉપયોગ કરી સુરક્ષાદળોને ચોંકાવી દીધા હતા. આતંકીઓની સ્ટીલ બુલેટ્સ એક સહાયક કમાન્ડન્ટની બુલેટપ્રૂફ જિપ્સીને વિંધવામાં સફળ રહી હતી અને સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો.