કાશ્મીરમાં આતંકને પોષનારા પાકિસ્તાન વિરુદ્ધ કોઈ આતંકી સંગઠન બળવો કરે એ વાત કદાચ માનવામાં નહીં આવે, પણ આ હકીકત છે. કાશ્મીરમાં અલ-કાયદાના સંગઠન હવે બંડ પોકારી રહ્યા છે. અલ-કાયદામાંથી જ જન્મેલા સૌથી ખતરનાક આતંકી સંગઠન અંસાર-ઉલ-ગજવાત-એ-હિન્દ (AGH) ના કમાન્ડર હમીદ લલહારીએ એક ઑડિયો મેસેજમાં આ વાતનો પર્દાફાશ કર્યો છે.
આ ઑડિયો મેસેજ એજીએચએ તેની ટેલીગ્રામ મીડિયા ચેનલ અલ-હુરમાં આતંકવાદી બુરહાન વાનીની વરસી ઉપર જારી કર્યો હતો. લલહારીએ જણાવ્યું છે કે, પાકિસ્તાને તેને હથિયારો અને અન્ય સાધનો આપવાની વાત કરી હતી અને એવી શરત મૂકી હતી કે, સુરક્ષાદળોના કેમ્પો અને અગત્યના સ્થળો પર આતંકી હુમલાઓ પાકિસ્તાનની મરજીથી કરવાના રહેશે.
લલહારીએ પાકિસ્તાનનો આ પ્રસ્તાવ અને શરત ઠુકરાવીને કાશ્મીરમાં સક્રિય તમામ આતંકી સંગઠનોને એક બેનર હેઠળ એક થવાની અપીલ કરી છે. સુરક્ષા એજન્સીઓએ આ આખા ઘટનાક્રમને ખુબ ગંભીરતાથી લીધો છે અને કાશ્મીરમાં એજીએચની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સામે બળવો કર્યા બાદ એજીએચ હવે નજીકના ભવિષ્યમાં જ કાશ્મીરમાં મોટો હુમલો કરી શકે છે.
લલહારીએ તેના ઑડિયો મેસેજમાં કાશ્મીરમાં હાલમાં સક્રિય અલગ અલગ આતંકી સંગઠનોના 2થી 3 પ્રતિનિધિઓની એક કમિટી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કમિટી જ ભવિષ્યમાં જ ક્યા સ્થળે અને કેવા આતંકી હુમલાઓ કરવા તેની રૂપરેખા નક્કી કરશે.
લલહારીનો દાવો છે કે, બુરહાન વાની પાકિસ્તાનના એજન્ડાને સમજી ગયો હતો અને તે કાશ્મીરમાં પાકિસ્તાનની દખલગીરી પસંદ કરતો ન હતો. પાકિસ્તાની એજન્સીઓ પણ બળવાખોર આતંકીઓ સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ ભયાનક બનશે તેવું સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ માની રહ્યા છે.