જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં પેસેન્જર વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 9 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની. પોલીસનું કહેવુ છે કે કાર મુર્રાહ ગામ તરફથી આવી રહી હતી. સુરનકોટ તરફ જઈ રહેલી કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.
કુલ 9 લોકોના મોત
પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 3 લોકોને સારવાર માટે લઇ ગયા તે દરમિયાન રસ્તામાં જ મોતને ભેટ્યા. ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં આ ઘટના બની હતી. હાલમાં નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
મનોજ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ગવર્નર મનોજ સિન્હાએ આ બાબતે શોક વ્યક્ત કરતાં કહ્યું કે પૂંછમાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. આ સાથે જ જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને તમામ સંભવિત સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
તમિલનાડુમાં માર્ગ અકસ્માત
એક તરફ જમ્મુ-કાશ્મીરમાં માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા તો આ તરફ તમિલનાડુમાં ચેન્નાઈ-બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંબુર નજીક શોલુર વિસ્તારમાં એક લારી અને વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ મહિલાઓ સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે વાન કનિગાપુરમ સ્થિત ખાનગી જૂતા ઉત્પાદક કંપની તરફ જઈ રહી હતી, ત્યારે વાનિયમબડી અને તેની આસપાસના વિસ્તારોમાં અકસ્માત સમયે તેમાં મોટાભાગની મહિલાઓ હતી.