શ્રીનગર (Srinagar) માં 12-14 ઑક્ટોબરના રોજ થનારી ઈન્વેસ્ટર્સ સમિટ (Investor Summit) હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. જેનું મુખ્ય કારણ તૈયારી માટે પૂરતો સમય ન હોવાનો એમ જાણવા મળી રહ્યું છે. નવી તારીખોની જાહેરાત જલ્દીથી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સરકારે આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં આ પ્રકારે પ્રથમ વૈશ્વિક આયોજનની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરના પ્રધાન સચિવ (વાણિજ્ય અને ઉદ્યોગ) એન.કે ચૌધરીએ ઈન્વેસ્ટર્સ સમિટની જાહેરાત કરતા કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે રાજ્યમાં એક મહિનામાં જ સ્થિતિમાં સુધારો આવશે. તેમણે મીડિયાને કહ્યું હતું કે જો મને આ વિશ્વાસ ન હોત તો મેં તારીખોની જાહેરાત ન કરી હોત. આ આયોજન શ્રીનગરમાં થવાનું હતું. આશા હતી કે આ સંમેલનમાં 8 દેશો ભાગ લેશે.
કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતાને ખત્મ કરી દીધી હતી અને રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધા હતાં. રાજ્યના વિશેષ દરજ્જાને ખતમ કરવાનો અર્થ હતો કે ત્યાંના લોકો સંપત્તિ, સરકારી નોકરીઓ અને કૉલેજોની સીટો પર વિશેષ અધિકાર ગુમાવી દે અને તેમને પણ એવા જ અધિકાર હશે જે દેશના અન્ય રાજ્યોમાં છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકાર ઘાટીની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કાશ્મીરમાં ધીરે-ધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાળાઓ ઓપન કરી દેવામાં આવી છે. જો કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી દેખાતી નજરે ચડે છે. જ્યારે ઈન્ટરનેટ પર હજુ પણ રોક લાગેલી છે.