ફરીથી એકવાર જમ્મુ કાશ્મીરની શાંતિ ભંગ કરવા પાકિસ્તાને અટકચાળો કર્યો હતો, આ વખતે પાટનગર શ્રીનગરના સજ્જરીપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ CRPF અને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસ જવાન અને એક નાગરિક ઘાયલ થયા છે.
જમ્મુ કાશ્મીરમાં ફરીથી થયો આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી છે જિલ્લા પરિષદની ચૂંટણીઓ
ચૂંટણીઓમાં હિંસા ભડકાવવાનો પાકિસ્તાનનો મલીન ઇરાદો
આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો છે. આ ઘટના શ્રીનગરના હવાલાલના સજ્જરીપોરામાં બની હતી. સમાચાર એજન્સી ANI એ જણાવ્યું હતું કે આ હુમલામાં એક પોલીસ જવાન અને એક નાગરિક ઘાયલ થયા છે. હાલની માહિતી મુજબ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
કાશ્મીરમાં ચાલી રહી છે ચૂંટણીઓ
સુરક્ષાદળોનું કહેવું છે કે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સંગઠને આતંકી હુમલાની જવાબદારી લીધી નથી. મહત્વ નું છે કે હાલમાં આ સમયે જમ્મુ-કાશ્મીર માં જિલ્લા પરિષદની ચૂંટણીઓ ચાલી રહી છે, અને કાશ્મીરની જનતા એ જે ઉત્સાહ અને શાંતિ સાથે આ પ્રક્રિયામાં ભાગ લીધો છે તેને જોઈને પાકિસ્તાન ના પેટમાં ચૂંક ઉપડવી સ્વાભાવિક છે.
પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન
તાજેતરના સમયમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ ભંગના બનાવોમાં વધારો થયો છે. આ વખતે જમ્મુ-કાશ્મીર ના કેરની સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ અગાઉ, જે રીતે આતંકવાદીઓ નાગરોટામાં માર્યા ગયા હતા અને તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, તે બતાવે છે કે કેવી રીતે ISI અને પાક સૈન્ય ભારત વિરુદ્ધ એક વધુ એક કાવતરાને અંજામ આપી રહ્યા છે.
રાજનાથસિંહે કર્યા હતા પ્રહારો
સંરક્ષણ પ્રધાન રાજનાથે શનિવારે ભારતની સંપ્રભુતાની રક્ષાનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે જો પાડોશી દેશ જેવુ થઈ જાય તો શું થશે તે તમે સમજી શકો છો, આ દેશ પોતાના દમ પર આગળ પણ વધી શકતો નથી અને પોતાની જમીન પર જે વેપાર કરવા આવે છે તેમને રોકી પણ શકતો નથી. આવું કહીને તેમણે પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર પ્રહારો કર્યા હતા.