કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરને લઇને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મૂ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે અને લદ્દાખ પણ અલગ પ્રદેશ બની ગયો છે. રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર પૂનર્ગઠન બિલ રજૂ કર્યું, જે એક લાંબી ચર્ચા બાદ પસાર થઇ ગયું. આ બિલને આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
લોકસભામાં આ બિલ પાસ થઇ ગયા બાદ આ નવા પ્રસ્તાવને લાગુ કરી દેવામાં આવશે. લોકસભામાં સરકાર પાસે બહુમતિ હોવાના કારણે આ બિલ પસાર થઇ જશે.
શ્રીનગરની મુલાકાતે NSA અજિત ડોભાલ
કલમ-370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય અને કોઇ સમસ્યા સામે ના આવે તેના માટે સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. આ વચ્ચે NSA અજિત ડોભાલ રાજ્યની સમીક્ષા માટે શ્રીનગરની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા હેઠળ હવે જમ્મૂ-કાશ્મીરની પોલીસ હવે સીધા કેન્દ્ર સરકારની હેઠળ કામગીરી કરશે.
કાશ્મીરમાં કેવી છે પરિસ્થિતિ?
કલમ-370 હટાવવાના બિલને રાજ્યસભામાં મળેલી મંજૂરી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વિરોધ કરી રહી છે. જેના કારણે બંન્નેની અટકાયત કરવામાં આવી છે. મહેબૂબા મુફતી, ઉમર અબ્દુલ્લાને સોમવારે મોડી રાતે અટકાયત કરી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ભારતીય લોકશાહીનો આ સૌથી કાળો દિવસ : મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ સંસદમાં- 370 રદ્દ કરવાની જાહેરાતની થોડી મિનિટો પછી જ બે ટ્વીટ કર્યા હતા. પ્રથમ ટ્વિટમાં મુફ્તીએ લખ્યું હતું કે ભારતીય લોકશાહીનો આ સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વએ 1947 માં ભારત સાથે જવા માટે લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થયો. ભારત સરકાર દ્વારા આર્ટિકલ- 37૦ હટાવવાનો નિર્ણય ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
ઓમર અબ્દુલ્લાનું નિવેદન
આ તરફ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અનુચ્છેદન-370 ને હટાવવી જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો કર્યો છે. જમ્મુ કાશ્મીરે 1947 માં આ નિર્ણયનો વિશ્વાસ ભારત સાથે જોડાયેલો હતો તે આજે તૂટી ગયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ભયાનક પરિણામો સામે આવશે.