જમ્મૂ-કાશ્મીરની તમામ બેંકોમાં પૈસા મોકલવામાં આવ્યા છે. બેંકો દ્વારા તમામ ATMમાં પૈસા નાખવાનો RBIએ આદેશ આપ્યો છે. જમ્મૂ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇ તમામ બેંકોને એટીએમમાં પૈસા નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને ઘાટી છોડવા એડવાયઝરી જાહેર કરી છે.
એલર્ટને લઇને સુરક્ષાકર્મીઓની રજા રદ કરાઇ
જમ્મૂ-કશ્મીરમાં એલર્ટને લઇ સુરક્ષાકર્મીઓની રજાઓ રદ કરી દેવાઇ છે. પોલીસ અને CRPFની રજા રદ કરી દેવામાં આવી છે. ઓગસ્ટ માસમાં આપવામાં આવેલી સુરક્ષાકર્મીઓની રજા રદ કરી દેવાઇ છે.
એર ઇન્ડિયા-વિસ્તારાએ શ્રીનગર જતી તમામ ફલાઇટ રદ કરી
એર ઇન્ડિયાએ અને વિસ્તારાએ જમ્મૂ-કાશ્મીરની તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે. 15 ઓગસ્ટ સુધી શ્રીનગર જતી તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે. જમ્મૂ-કશ્મીરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવાયો છે. વિસ્તારા એરલાઇન્સએ 9 ઓગસ્ટ સુધી ફ્લાઇટો રદ કરી છે. જેને લઇ જે પણ મુસાફરોએ ટિકિટ બૂક કરી હશે તેને ચાર્જ પરત કરવામાં આવશે.
કાશ્મીરમાં ફસાયેલા યાત્રીઓ માટે કેન્દ્ર સરકારનો આદેશ
કાશ્મીરમાં સરકાર દ્વારા એરલાઇન્સને પણ આદેશ આપી દેવાયા છે. યાત્રીઓને કશ્મીરથી લઇ આવવા વિમાન તૈયાર રાખવા કેન્દ્રએ આદેશ આપ્યો છે. એવિએશન ઓથોરિટીએ વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે. કાશ્મીરમાં ફસાયેલા યાત્રીઓ માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે, યાત્રીઓને લઇ આવવા માટે વિમાન તૈયાર રાખે. ગતરોજ કેન્દ્ર સરકારે કાશ્મીર છોડી દેવા માટે પ્રવાસીઓને આદેશ કર્યો હતો.
સરકારના મેગા પ્લાન પછી આતંકીઓમાં ફફડાટ
કાશ્મીરમાં સરકારના મેગા પ્લાન પછી આતંકીઓમાં ફફડાટ છે. જેને લઇને ભારતીય સેના એક-એક આતંકીઓને ઠાર કરી રહી છે. કાશ્મીરના સોપોરમાં આજે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થયું. જેમાં ભારતીય સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જ્યારે એક ભારતીય જવાન ઇજાગ્રસ્ત થયાં છે. માલમાપનપોરા નામના વિસ્તારમાં અથડામણ જોવા મળી છે. જો કે કેટલા આતંકીઓ છે તે અંગે કોઇ વિગતો મળી નથી. અગાઉ શુક્રવારે શોપિયાંમાં જૈશના 3 આતંકીઓને સેનાએ ઘેર્યા હતા.