જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવખત મોટો આતંકી હુમલો થઇ શકે છે. ગુપ્તચર વિભાગના સૂત્રોને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના આતંકીઓ એકવાર ફરી પુલવામામાં સુરક્ષા બળને નિશાન બનાવાની તૈયારી કરી રહ્યાં છે. આ વખતે આતંકીઓ IED અને સ્નાઇપર દ્વારા હુમલો કરે તેવી શક્યતા છે.
ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના આતંકીઓ એકવાર ફરી પુલવામામાં સુરક્ષા બળ પર હુમલો કરી શકે છે. પાકિસ્તાની આતંકીઓ નેશનલ હાઇ વે પર સુરક્ષા બળ પર સ્નાઇપર ગનથી હુમલો કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રોને મળતાં એક અહેવાલ મુજબ 6થી 8 પાકિસ્તાની આતંકીઓના પ્લાન અંગે સુરક્ષાબળને જાણકારી મળી છે. આ આતંકીઓની ટીમમાં એક સ્નાઇપર એક્સપર્ટ પણ સામેલ છે. આ 6થી 8 આતંકીઓ કાશ્મીરમાં છુપાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કાશ્મીરમાં છુપાઇને આ પાકિસ્તાની આતંકીઓએ પોતાની ઓળખ પણ બદલી નાંખી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આતંકીઓ બુરહાન વાણીની વરસી પર આતંકી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 8 જુલાઇ 2016ના રોજ આતંકી બુરહાન વાણીને સુરક્ષા દળે એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો.
આમ ગુપ્તચર એજન્સીના રિપોર્ટ બાદ દરેક એજન્સીઓને અલર્ટ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓ પુલવામામાં મોટા હુમલાને અંજામ આપી ચૂક્યા છે જેમાં ઘણા બધા જવાન શહીદ થયાં હતા.