જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં પાકિસ્તાને એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતની સરહદ તરફ ભારે માત્રામાં ફાયરિંગ કર્યું અને મોર્ટારથી હુમલો કર્યો.
ભારતીય સેના પાકિસ્તાનને સતત ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. જો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પાકિસ્તાને મંગળવારે સતત ત્રીજા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
જમ્મૂ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર દાગવામાં આવ્યાં હતા. જો કે ભારતીય સેનાએ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું. જો કે પાકિસ્તાનના ફાયરિંગમાં 1 ભારતીય જવાન શહીદ થયા હતા. શહીદ જવાનનું નામ નાયક કૃષ્ણ લાલ છે. જો કે ભારતીય સેનાના સૂત્રો મુજબ ભારતીય સુરક્ષા બળે કરેલા જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના બે જવાનનો ઠાર માર્યા હતા.
ઉલ્લેખનીય છે પાકિસ્તાનની સેના સરહદ પર પોતાના નાપાક હરકત ક્યારે બંધ કરતું નથી. આ અગાઉ રવિવાર અને સોમવારે પણ પાકિસ્તાન સેનાએ મોર્ટારથી ભારતીય સરહદમાં હુમલો કર્યો હતો.પાકિસ્તાનની સેનાએ યુધ્ધવિરામનો ભંગ કરીને સરહદ પરના શાહપુર અને સૌજિયા સેકટરમાં ફાયરિંગ કર્યું હતું, જો કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
જમ્મૂ-કાશ્મીરના ગુરેજ સેકટરમાં ધુસણખોરીનો પ્રયાસ
જમ્મૂ-કશ્મીરના ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓની ઘુસણખોરીના પ્રયાસને જવાનોએ નિષ્ફળ કરી દીધો છે. ગુરેજ સેક્ટરના કંજાલવન વિસ્તારમાં બે આતંકવાદી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.
જ્યારે બીજી તરફ પાકિસ્તાનની સેના આતંકવાદીઓને બોર્ડર ક્રોસ કરવામાં મદદ કરી રહી હતી. જેમાં પાકિસ્તાનની સેના કવર ફાયરિંગ કરી રહ્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ બન્ને આતંકવાદીને ઠાર માર્યા છે.