જમ્મુ કશ્મીરની સ્થિતિને લઇ પ્રવાસન ઉદ્યોગ પર અસર પડી છે. ગુજરાતી લોકો કશ્મીર જવાનું ટાળી રહ્યાં છે. કશ્મીરની સ્થિતિને લઈને ટ્રાવેલ્સ એજન્સીમાં કરાવેલા બુકિંગ લોકો રદ કરાવી રહ્યાં છે. દિવાળી સમયના બુકિંગ પણ શરૂ નથી થયા.
નોંધનીય છે કે, સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ જાય છે ત્યારે કશ્મીરમાં કોઇ પણ સમયે સ્થિતી બગડવાનો લોકોમાં ડર છે. જેને લઈને લોકો કશ્મીર પ્રવાસને બદલે ઉતરાખંડ, નોર્થ-ઇસ્ટના રાજ્યો પસંદ કરી રહ્યા છે.
કલમ-370 હટાવવામાં આવી
રાજ્યસભા અને લોકસભામાં હોબાળા વચ્ચે પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે.
આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે. બીજી તરફ કેન્દ્ર સરકારે જમ્મૂ-કશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ રાજ્ય જાહેર કર્યા છે. એટલે કે, આ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
લદ્દાખનો પણ થશે વિકાસ
જમ્મૂ-કશ્મીરમાંથી ધારા-370ને હટાવામાં આવી છે. આ સાથે જ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. લદ્દાખને અલગ કરવાથી ભારતને શું ફાયદો થશે તે અંગે યુવાનોએ જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત બનવાથી તેની સીધી સત્તા કેન્દ્ર સંભાળશે.
આઝાદીના 72 વર્ષ બાદ હવે લદ્દાખના લોકો વિકાસનો અહેસાસ કરી શકશે. આ સાથે જ ટુરીઝમની રીતે પણ લદ્દાખનો ભરપુર વિકાસ થશે. દેશના લોકો પણ કશ્મીરમાં વસવાટ કરી શકશે. હોટેલ અને ઉદ્યોગો પણ આકાર પામશે.