રાજભવનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના સરકારી સચિવાલય અને અન્ય કાર્યાલય શુક્રવારથી એટલે કે આજથી કામ કરવાનું શરૂ કરી દેશે. સાથે જ જનતા પર લાગેલા પ્રતિબંધમાં પણ આજની નમાઝ બાદ રાહત આપવામાં આવશે.
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 અને 35-Aની કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ અહીં જાહેરાત કરવામાં આવી કે કલમ હટાવતી સમયે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જે પાબંદીઓ લગાવવામાં આવી હતી તેને હવે હટાવી લેવામાં આવશે. ધીરે ધીરે સ્થિતિને સામાન્ય કરવાની કોશિશને લઈને જમ્મુ કાશ્મીરમાં શુક્રવારની જુમ્માની નમાઝ બાદ આ રાહતના સમાચાર લાગૂ થઈ શકે છે.
તેઓએ એ પણ જણાવ્યું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં ગુરુવારે સાંજે સુરક્ષા બેઠક બાદ સરકારી સચિવાલય અને અન્ય કાર્યાલયોમાં સામાન્ય કામકાજ શરૂ કરવાના આદેશ આપ્યા. પ્રવક્તાએ જણાવ્યું કે સરકાર જુમ્માની નમાઝ પછીની સ્થિતિને ધ્યાનમાં રાખશે અને તેના આધારે સામાન્ય લોકોના પ્રતિબંધમાં પણ રાહત આપવાનું વિચારી રહી છે. રાજ્યપાલે અમરનાથ યાત્રાના સમાપનની સમીક્ષા કરી અને કહ્યું કે અમરનાથ ગુફામાં ભગવાન શિવની પવિત્ર ગદાની પૂજા પછી ગુરુવારે ઔપચારિક રીતે તેને બંધ કરી દેવામાં આવી છે. બુધવારે એક હેલિકોપ્ટર દ્વારા ગદાને પવિત્ર ગુફામાં લાવવામાં આવી અને સાથે જ પૂજા પછી શ્રીનગર લાવવામાં આવી.