ગઈ કાલે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનરર્ચના બિલ પસાર થઈ ગયું અને કોંગ્રેસ આ મુદ્દે મતમતાંતરમાં વિખેરાઈ ગયેલી લાગી. ત્યાર બાદ એ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. લોકસભામાં બિલ વિશે ગૃહમંત્રી અમિત શાહ બોલવા માટે ઊભા થયા કે લોકસભામાં કોંગ્રેસના નેતાએ કલમ-370 અંગે સરકારના વલણ પર સવાલ કર્યો. જેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે અધીર રંજન ચૌધરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું અને કોંગ્રેસ મુંઝવણની સ્થિતિમાં મુકાઈ ગઈ.
બિલને પસાર કરાવવાની મંજૂરી માગીઃ
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલ બહુમતીથી પસાર કર્યા બાદ લોકસભામાં આજે આ બિલને રજૂકરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલ પર લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી. અમિત શાહે પોતાના પ્રવચનની શરૂઆત કરી અને અધ્યક્ષ સામે જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલને પસાર કરાવવાની માંગણી કરી.
સરકારે નિયમ અને કાયદા તોડ્યાં?
આ દરમ્યાન અમિત શાહના પ્રવચનની શરૂઆત થતાં જ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે તીખી શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું હતું કે, કેન્દ્ર સરકારે નિયમ અને કાયદાને કોરાણે મૂકીને રાતોરાત જમ્મુ-કાશ્મીરના ટુકડા કરી નાખ્યાં અને એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો.
બતાવો કયો નિયમ તૂટ્યો છે?
અધીર રંજન ચૌધરીના આ નિવેદન બાદ અમિત શાહ આક્રમક મૂડમાં જોવા મળ્યાં. અમિત શાહે કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો નથી. અધીર રંજન ચૌધરીને પડકાર ફેંક્યો કે બતાવો કયો નિયમ તૂટ્યો છે. સરકાર જવાબ દેવા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ આવા જનરલ સ્ટેટમેન્ટ આપવા નહીં.
આ મુદ્દો અંગત કઈ રીતે હોઈ શકે?
અધીર રંજન ચૌધરીએ પોતાનો પક્ષ આગળ વધારતા કહ્યું કે કાશ્મીર મુદ્દો યુનાઈટેડ નેશન્સમાં પેન્ડિંગ છે તેથી આ મુદ્દો અંગત કઈ રીતે હોઈ શકે? કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર છેક 1848થી મોનિટરિંગ કરતું આવ્યું છે. અમિત શાહે અધીર રંજનના શબ્દો પકડી લીધાં. તેમણે અધીર રંજન પર વળતો પ્રહાર કર્યો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ એ સ્પષ્ટ કરી દે કે, તે હજુ પણ એવું ઈચ્છે છે કે, સંયુકત રાષ્ટ્ર જ જમ્મુ-કાશ્મીરને મોનિટર કરે. આ મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે તીખા વાકપ્રહારો થયાં.
કોંગ્રેસ બચાવ મુદ્રામાં આવી ગઈઃ
અમિત શાહે અધીર રંજનના એક શબ્દને કારણે ચર્ચાની બાજી હાથમાં લઈ લીધી અને કોંગ્રેસ સામે કાશ્મીર મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરવાનો પડકાર ફેંક્યો તો કોંગ્રેસ બચાવ મુદ્રામાં આવી ગઈ. અધીર રંજન ચૌધરીએ બચાવ કરતા કહ્યું અમે માત્ર સ્પષ્ટીકરણ માગીએ છીએ બીજું કશું નહીં.
સ્ટેન્ડ ક્લિયર કરવાનું ધર્મસંકટઃ
ગઈ કાલે રાજ્યસભામાં કલમ-370 મુદ્દે કોંગ્રેસ પોતાના સ્ટેન્ડ બાબતે વહેંચાયેલી જોવા મળી હતી. અનેક યુવા કોંગ્રેસી નેતાઓએ કલમ 370ને હટાવવાનું સમર્થન કર્યું હતું. તો કેટલાંક પીઢ કોંગ્રેસી નેતાઓએ બિલના વિરોધમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. દીપેન્દ્ર હૂડાએ પક્ષને છોડીને આ બાબતે સરકારનું સમર્થન કર્યું. તો પૂર્વ સાંસદ મિલિન્દ દેવડાએ પણ સરકારનું સમર્થન કર્યું. જનાર્દન દ્વિવેદીએ પણ સરકારનું સમર્થન કર્યું. ખુદ કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલે પણ ભાજપના આ પગલાને સમર્થન આપ્યું.
સરકારના આ નિર્ણયને સમર્થન આપવું કે, પછી વિરોધ કરવો તે બાબતે કોંગ્રેસ ખુદ મુંઝવણમાં મૂકાઈ ગઈ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સરકારના નિર્ણય પર મૌન સેવ્યું છે. કેવું સ્ટેન્ડ લેવું તે કોંગ્રેસ નક્કી કરી શકતી નથી અને આ તરફ ભાજપે માસ્ટર સ્ટ્રોક મારીને કહ્યું છે કે કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે. ત્યારે કોંગ્રેસ આગામી સમયમાં કેવી રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર છે.