ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગીર, અરવલ્લી અને ડાંગમાં ધોધ જીવંત બનતા પ્રકૃતિ જાણે સોળે કળાએ ખિલી ઊઠી છે.
વરસાદી માહોલમાં કુદરતી નજારો જામ્યો
કુદરત સોળે કળાએ ખીલી ઊઠી
ધોધ બન્યા પર્યટકો માટે આકર્ષણ
ગુજરાતમાં વરસાદી મહેર જામી છે અને આ વરસાદી મહેરમાં કુદરતી સૌંદર્ય પણ ખિલી ઊઠ્યું છે. જે હાલમાં પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં ખિલી ઉઠતા ધોધ પર્યટકો માટે આકર્ષક સાબિત થઈ રહ્યા છે. ગીરમાં આવેલ જમજીરનો ધોધ ખુબ પ્રખ્યાત છે. જે સારા વરસાદના કારણે ખિલી ઉઠ્યો છે.જેથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ કુદરતી નજારાને માણવા માટે પહોંચી રહ્યા છે. ખળખળ કરતો વહી રહેલો ધોધ લોકોને પોતાની તરફ આકર્ષિ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે ધોધનો નજારો નિહાળવા આવે છે.કુદરતી નજારાને પોતાના કેમેરામાં કંડારવા આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જવાનોને તૈનાત કરાયા
જમજીર ધોધ ગીરના જંગલમાંથી નિકળતી શિંગોડા નદી પર આવેલો છે. જંગલમાં ખુબ સારા વરસાદના કારણે છેલ્લા 15 દિવસથી આ ધોધ અવિરત પડી રહ્યો છે. જોકે વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ અહીં પર્યટકોની સંખ્યા પણ વધવા લાગી છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીં જવાનોને પણ તૈનાત કરાયા છે. જેથી કોઈ પણ લોકો જોખમ ન ખેડે. અને મોટી દુર્ઘટના ન ઘટે.
ડાંગમાં નાના-નાના ઝરણાઓ અને ધોધ ખીલી ઉઠ્યા
માત્ર ગીર સોમનાથ જ નહિ પરંતુ અરવલ્લી જિલ્લામાં પણ અનેક જગ્યાઓ પર કુદરતી ધોધ ખિલી ઊઠ્યા છે.. અને ઝરમર ઝરમર વરસતા વરસાદને માણવા માટે દુર-દુરથી લોકો પહોંચી રહ્યા છે.ભિલોડા તાલુકાનો સુનસર ધોધ જીવંત થતાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે મોજ કરતા જોવા મળ્યા છે.બીજી તરફ ગુજરાતના કશ્મીર એવા ડાંગમાં પણ વરસાદી માહોલના કારણે નાના-નાના ઝરણાઓ અને ધોધ ખીલી ઉઠ્યા છે.લોકો આ કુદરતી સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પરિવાર સાથે આવી રહ્યા છે.