બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા થઈ હતી. હત્યારાઓએ ઉપસરપંચ મનજીભાઈની બાઈકને કારથી ટક્કર મારી હતી. આ દરમિયાન મનજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. હત્યારોએ તેમની પર હુમલો કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા કોઈ બાઈક ચાલકની તેમના પર નજર પડી હતી. તેમણે તેમના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ મનજીભાઈને તાત્કાલીક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
8 આરોપીઓની ધરપકડ
બોટાદના જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યા થઈ હતી. આ મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઇને 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે અગાઉ 3 આરોપી ભગીરથ ખાચર, કિશોર ખાચર અને હરદીપ ખાચરની ધરપકડ કરી હતી. ત્યારબાદ 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કરી કબ્જે
જોકે, હત્યાને મામલે હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબ્જે કરી હતી. ઉપસરપંચનું બાઇક પણ પોલીસે કબ્જે લીધું છે. પુરાવાઓ સાથે છેડછાડ ના થાય એ માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતદેહ નહીં સ્વીકારનો પરિવારજનોએ નિર્ણય
આ મામલે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માગ ન સ્વીકારાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે હવે જાળિલા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હત્યાને પગલે ગામમાં SP, DYSP, SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
યોગ્ય તપાસની પરિવારજનોની માગ
ત્યારે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા IPS કક્ષાના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરે અને પરિવારને પોલીસ પ્રોટેક્શન મળે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈને બોટાદના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને કલેક્ટર સુજીત કુમારે પરિવારજનોની મુલાકાત કરી હતી. યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. સાથે તેમણે પરિવારજનોને આશ્વાસન પણ આપ્યુ હતું.
પરિવારજનોની 6 જેટલી માંગણીઓ
ઉપસરપંચ મનજી સોલંકીની હત્યા મામલે ઘટનાને સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે નિવેદન આપ્યું હતું. ઘટના બાબતે મૃતકના પરિવારજનોની 6 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. જે માંગણીઓ પર સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેમજ ન્યાયિક તપાસના પણ આદેશ આપી દેવાયા છે.
1. તમામ 9 આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય
2. કાયમી ધોરણે પોલીસ અને SRPનું પ્રોટેક્શન
3. અગાઉના 4 અને આ કેસને અમદાવાદમાં ટ્રાન્સફર કરાય
4. તમામ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે
5. પરિવારજનોને સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે
6. પરિવાર જે વકીલને કહે તેને સરકાર દ્વારા ફાળવવામાં આવે
પરિવારજનોને 8 લાખ 25 હજારની સહાય
તેમજ મૃતકના પરિવારજનોને 8 લાખ 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓને વહેલી તકે જેલ હવાલે કરવા આદેશ અપાયો છે. તેમજ નિયમાનુસાર 50 ટકા રકમ ચાર લાખ 22 હજાર 500ની સહાયનો ચેક ત્વરિત ચૂકવી દેવા પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આવી ઘટનાઓને સરકાર ચલાવી નહીં લે તેમજ દાખલો બેસાડવા કડકમાં કડક કાર્યવાહી પણ કરવા આદેશ અપાય છે.
સમગ્ર મામલે સરકારે કરી દરમિયાનગીરી
બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યાને લઈને સરકારે દરમિયાનગીરી કરી છે. સમગ્ર ઘટનાને લઈને દલિત આગેવાનો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, JCP અમિત વિશ્વકર્મા, DCP નિરજ બડગુજર તેમજ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં પરિવારજનોની 6 માંગણીઓની ચર્ચા કરવામાં આવી.
રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચની હત્યાનો મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે જાળીલાની ઘટના સરકારની દલિત સમાજની ઉપેક્ષાનું પરિણામ છે. મૃતક પર 2010, 2011, 2016 અને 2018માં સળંગ હુમલા કરાયા હતાં. PIથી લઇ DYSP, SP અને DG ઓફિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈએ દાદ દીધી ન હતી. આથી જ પરિવારજનો અને દલિત કાર્યકર્તાઓને મૃતદેહ ન સ્વીકારવાની ફરજ પડી છે.