ગુજરાતના ૯૬.૫૦ ટકા ઘરોમાં નળ થી જળ યોજનાના કનેક્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોને નળ થી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે. પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર-સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળ નું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે.
કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે માત્ર ૩૪ મહિનામાં ૯૬.૫૦ ટકાએ પહોંચ્યું મિશન
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાત સરકારના આયોજનબદ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ ૨૦૨૨ સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે. વર્ષ ૨૦૧૯માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે ૭૧ ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. વળી રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે ૧૦૦ ટકા નળ થી જળ મેળવતા હતા નહીં. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના ૧૬ જિલ્લાઓ સંપૂર્ણપણે ૧૦૦ ટકા નલ થી જલ અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે.
૧૬ જિલ્લાઓમાં 100% ઘરોમાં નળ થી જળ યોજનાના કનેક્શન
આ ૧૬ જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે. નલ સે જલ યોજના અંતર્ગત થયેલ તબક્કાવાર કામગીરી પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦ રાજ્યના ૯૧,૭૭,૪૫૯ કુલ ઘર પૈકી ૭૫,૯૪,૩૪૭ ઘરોમાં નલ થી જળ પહોંચતું હતુ. વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૬,૨૦,૯૬૨ એટલે કે ૮૩.૦૪ ટકા ઘરોમાં, વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૬,૭૩,૫૭૫ એટલે કે ૯૪.૫૧ ટકા ઘરોમાં અને જુન-૨૦૨૨ સુધીમાં ૮૮,૫૬,૪૩૮ ઘરોમાં જોડાણ આપીને ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ સે જલ અતંર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.
જલ જીવન મિશનનો શું ઉદ્દેશ્ય?
અત્રે નોંધનીય છે કે, જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.