પૃથ્વી પર સૌથી ખતરનાક ઝડપથી ડૂબી રહેલા શહેરોમાં જકાર્તા મોખરે છે. પર્યાવરણ વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, જો આ જ ઝડપ ચાલુ રહી તો જકાર્તાનો એક તૃતિયાંશ ભાગ વર્ષ 2050 સુધીમાં ડૂબી જશે.
દાયકાઓથી ભૂજળ ભંડારનો અનિયંત્રિત અને અત્યાધિક વેડફાટ, સમુદ્રનું સતત વધી રહેલું જળસ્તર અને ઝડપથી બદલાતા હવામાન જકાર્તાના ડૂબવા પાછળના મુખ્ય કારણો છે. આ શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાના શરૂ પણ થઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, જકાર્તાને બચાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા પર્યાવરણીય ઉપાયો પણ હાલ ટૂંકા પડી રહ્યા છે.
આ માટે ઈન્ડોનેશિયાની સરકાર કડક પગલાં પણ ભરી રહી છે. આ મિશન હેઠળ ઈન્ડોનેશિયાની રાજધાની બદલવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઈન્ડોનેશિયાની નવી રાજધાનીની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ખુદ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદે ટ્વીટર પર જણાવ્યું છે કે, અમારા દેશની રાજધાની હવે બોર્નિયો ટાપુ પર સ્થાનાંતરિત કરવામાં આવશે.
ઈન્ડોનેશિયાના પ્રશાસનિક અને રાજનૈતિક કેન્દ્રને સ્થાનાંતરિત કરવું એ રાષ્ટ્રીય સંરક્ષણનું એક કાર્ય હોઈ શકે છે, પરંતુ આ જકાર્તા માટે અત્યાર સુધીના સૌથી મોટા ખતરાની ઘંટડી સમાન છે. એક લાખથી પણ વધુ લોકો પાસે જકાર્તામાંથી ભાગવા માટે બહુ ઓછા સાધનો ઉપલબ્ધ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, હાલ તેમની હાલત અત્યંત ખરાબ છે. વર્ષ 2007માં આવેલી કુદરતી આપત્તિઓમાં જકાર્તાના ઘણા લોકો બરબાદ થઈ ગયા હતા. ખાસ કરીને જકાર્તાના ઉત્તરીય દિશામાં આવેલા પૉર્ટ નજીકની મોટાભાગની જમીન સમુદ્રમાં સમાઈ રહી છે. જકાર્તાના ઉત્તરીય વિસ્તારોમાં પાણી માટે પાઈપ વ્યવસ્થા નથી અને આથી સ્થાનિક ઉદ્યોગો અને લાખો લોકો ભૂજળ પર જ નિર્ભર રહે છે.
ઉલ્લેખનીય છે કે, જકાર્તા ઈન્ડોનેશિયાનું સૌથી મોટું શહેર છે અને તે જાવાના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 661 કિલોમીટર છે. જકાર્તા દેશનું આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક કેન્દ્ર હોવાથી આ મુદ્દાની વિશેષ ચિંતા કરવામાં આવી રહી છે. જકાર્તાની સ્થાપના ચોથી સદીમાં થઈ હતી અને એ સમયે આ શહેર સૌથી મોખરાનું પૉર્ટ ગણાતું હતું.