વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે એક કાર્યક્રમમાં રશિયા અને યુક્રેનના નેતાઓને યુદ્ધ ઝોનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીને લઈને પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ફોન કોલને યાદ કર્યો.
રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલ્યા વિદેશમંત્રી એસ.જયશંકર
આપણા 20 હજારથી વધુ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા હતા: એસ.જયશંકર
વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી અને પુતિનને કર્યો હતો ફોનઃ એસ.જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન રશિયા અને યુક્રેનના નેતાઓને યુદ્ધ ઝોનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા ફોનને યાદ કર્યો. આ ફોન કોલ્સને યાદ કરતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ રશિયા અને યુક્રેનના નેતાઓને યુદ્ધ ઝોનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીનું આશ્વાસન આપવા માટે આહ્વાન કર્યું હતું.
22,500 લોકોની સુરક્ષિત વાપસીની સુવિધા પ્રદાન કરી
મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાએ આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં યુક્રેનમાં પોતાનું સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા હતા. ઓપરેશન ગંગા હેઠળ ભારતે 22,500 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસીની સુવિધા પ્રદાન કરી. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા હતા.
બંને નેતાઓએ આપી હતી સુરક્ષાની ખાતરીઃ જયશંકર
આ ઘટનાને યાદ કરતા સુરતમાં મોદી@20 કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, અમારા બાળકો યુક્રેનના સુમી અને ખાર્કિવમાં ફસાયેલા છે… બંને નેતાઓએ પીએમ મોદીને તેમની સુરક્ષાની ખાતરી આપી હતી અને આ રીતે અમે અમારા બાળકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, કોવિડ-19, આબોહવા પરિવર્તન અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અનિશ્ચિત વૈશ્વિક પરિદ્રશ્ય હોવા છતાં, ભારત સમગ્ર વિશ્વમાં મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટ પ્રદર્શિત કરી રહ્યું છે.
આધારની શક્તિને સમજનારા પીએમ મોદી એકમાત્ર મુખ્યમંત્રી હતાઃ જયશંકર
'મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી' પુસ્તકમાં યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પુસ્તકમાં તેમના અધ્યાયના અનુભવો અને વિષયોનું વર્ણન કર્યું છે. આવું જ એક વ્યક્તિત્વ છે નંદન નીલેકણી, જેમણે આધાર પર ઘણું કામ કર્યું છે. નંદન નીલેકણીની કહાનીને યાદ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આધારની શક્તિને સમજનારા પીએમ મોદી એકમાત્ર મુખ્યમંત્રી હતા.
સુરત સ્માર્ટ સીટી અર્બન ઓબ્ઝર્વેટરી અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી.
જીવનની ગુણવત્તામાં સુધારો કરતી અને ભવિષ્યનું શહેર તૈયાર કરી રહી છે તેવી આ અદ્યતન સુવિધાથી પ્રભાવિત થયો.
મોદી સરકાર દ્વારા પ્રેરિત ડિજિટલ ડિલિવરી અને સ્માર્ટ ગવર્નન્સનું આ એક ઝળહળતું ઉદાહરણ છે. https://t.co/xpqZCZ60Wj
અર્બન ઓબ્ઝર્વેટરી અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની લીધી હતી મુલાકાત
આ પહેલા વિદેશ મંત્રીએ સુરત સ્માર્ટ સિટીના અર્બન ઓબ્ઝર્વેટરી અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, જીવનની ગુણવત્તામાં સુધારો કરતી અને ભવિષ્યનું શહેર તૈયાર કરી રહી છે તેવી આ અદ્યતન સુવિધાથી પ્રભાવિત થયો. મોદી સરકાર દ્વારા પ્રેરિત ડિજિટલ ડિલિવરી અને સ્માર્ટ ગવર્નન્સનું આ એક ઝળહળતું ઉદાહરણ છે