તુર્કી અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા દિવસથી વધુને વધુ ખરાબ થતાં જઈ રહ્યા છે, તુર્કી દ્વારા વારંવાર કાશ્મીર મુદ્દે આડોડાઈ કરવામાં આવી રહી છે ત્યારે હવે તુર્કીને તેની જ ભાષામાં જવાબ આપવા સરકારે કમર કસી લીધી છે.
ગ્રીસ સાથે સૈન્ય સહયોગ વધારવામાં આવશે
ગ્રીસ અને તુર્કી વચ્ચે લાંબા સમયથી ચાલે છે વિવાદ
ભારતના વિદેશમંત્રીએ ગ્રીસના વિદેશમંત્રી સાથે કરી બેઠક
ગ્રીસ સાથે સંબંધ વધ્યા
આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરને લઈને વારંવાર મુદ્દો ઉઠાવનાર તુર્કીને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારત તૈયારીઓ શરુ કરી દીધી છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ગ્રીસના વિદેશ મંત્રી નીકોસ દેન્દીયાસ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં રક્ષા ટેક્નિક ક્ષેત્રમાં સહયોગની શરૂઆત કરવા મુદ્દે સહમતી બની છે. જાણકારો કહી રહ્યા છે કે બંને દેશોને એકબીજાની જરૂર છે અને એવામાં રક્ષા તથા સૈન્ય સંબંધો વધે તેવી અપાર સંભાવનાઓ છે.
આવનાર સમયમાં સંબંધો વધુ સારા થાય તેવી શક્યતા
નોંધનીય છે કે ગ્રીસ અને તુર્કી વચ્ચે દરિયાની સરહદને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને વર્તમાનમાં આ વિવાદ વધતો જઈ રહ્યો છે. તુર્કીએ જાહેરાત કરી છે કે તે આખા ક્ષેત્રમાં ખનીજો માટે અધ્યયન કરશે જેના કારણે આવનાર સમયમાં બંને દેશો વચ્ચે વિવાદ વકરે તેવી સંભાવનાઓ છે.
સતત ભારત વિરોધી વલણ અપનાવે છે તુર્કી
તુર્કી પાકિસ્તાન સાથે આ જ ક્ષેત્રમાં સૈન્ય અભ્યાસ પણ કરવા જઈ રહ્યું છે જેના કારણે ગ્રીસની ચિંતામાં વધારો થયો છે. આ જ કારણ છે કે ગ્રીસ અને ભારત વચ્ચે સંબંધો સુધરતાં દેખાઈ રહ્યા છે.
તુર્કીના હાલમાં રાષ્ટ્રપતિ એર્દોગેનના કાર્યકાળમાં ભારત અને તુર્કીના સંબંધો સતત ખરાબ થતાં જઈ રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ તુર્કી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2019માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીને ચેતવણી આપી દીધી હતી, અમેરિકાના પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તુર્કીએ ભારત વિરોધી વલણ પર લગામ લગાવવી જોઈએ.