સ્વતંત્રતા દિવસનાં એક દિવસ પહેલા ભારતનાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મૂ કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે.
જમ્મૂ કાશ્મીરને મળી મોટી સફળતા
ચાર આતંકવાદીઓનો પ્લાન નિષ્ફળ, થઈ ધરપકડ
ચારમાંથી એકે રામ મંદિરને લઈને કર્યો ખૂબ મોટો ખુલાસો
ભારત જ્યારે 75માં આઝાદી દિવસની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે જ IED બ્લાસ્ટ કરીને દેશને હચમચાવી દેવાનું ષડયંત્ર આતંકવાદીઓ દ્વારા ઘડવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તેને નાકામ કર્યું છે. સ્વાતંત્ર્ય દિન પહેલા સુરક્ષાદળો માટે આ મોટી સફળતા કહી શકાય.
આતંકવાદીઓનો ખૂંખાર પ્લાન
કાશ્મીરમાં ડ્રોન હુમલાઓ વધી રહ્યા છે ત્યારે ચાર આતંકવાદીઓ 15મી ઓગસ્ટે વાહનમાં IED લગાવીને બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા.
યુપીના આતંકવાદી સોનુ ખાનનો ખૂબ મોટો ખુલાસો
પુલવામાનો મુંતજીર નામક આતંકવાદી સૌથી પહેલા ઝડપાયો હતો જેની પાસે પોલીસને મોટી સંખ્યામાં હથિયાર પણ મળી આવ્યા. તે બાદ મૂળ યુપીનો સોનુ ખાન સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
રામ મંદિર પર છે જૈશની નજર!
સોનુએ સમગ્ર મામલે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે કે તેને પહેલા હથિયાર ભેગા કરવા માટે કહેવામાં આવ્યું હતું જે ડ્રોનથી પાડવામાં આવ્યા હતા. તે બાદ તેણે પાનીપત ઓઇલ રિફાયનરીનો વીડિયો પાકિસ્તાનને મોકલી આપ્યો. આ સિવાય સોનુને અયોધ્યા રામ જન્મજભૂમિમાં પણ રેકી કરવા માટે તેના આકાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં જાય તે પહેલાજ તેની ધરપકડ કરવામાં આવી છે.
બાઇકથી કરવાના મોટો બ્લાસ્ટ
નોંધનીય છે કે IED બ્લાસ્ટ માટે આતંકવાદીઓએ બાઇક ખરીદી હતી અને આ IED પણ પાકિસ્તાનમાં બેઠેલ જૈશનાં આકાઓ દ્વારા ડ્રોનથી જ પાડવામાં આવશે તેવો પ્લાન હતો.
આતંકવાદીઓને ઑલ-આઉટ કરવાની જરુર
નોંધનીય છે કે જ્યારથી કાશ્મીરમાં ધારા 370ને હટાવવામાં આવી છે ત્યારથી જ આતંકવાદીઓ સામે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પથ્થરમારા જેવી ઘટનાઓમાં ઘટાડો સામે આવ્યો છે ત્યારે કાશ્મીરમાં જે વ્યક્તિ આતંકવાદનો રસ્તો અપનાવે તે બધાના ઢીમ ઢાળી દેવાના કામ સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે સામે આતંકવાદીઓએ અનેક વાર નેતાઓની હત્યાઓને અંજામ આપ્યો છે. કાશ્મીરમાં શાંતિ માટે આતંકવાદીઓનો સમૂળ નાશ કરવો ખૂબ જ આવશ્યક છે.