જમ્મુ-કાશ્મીર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સાથે સાથે આતંકવાદી સંગઠન પણ ભડકયા છે. પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ ફરી એક વાર ભારતમાં પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે.
જૈશ-એ -મોહમંદે આપી ધમકી
20થી વધુ રેલવે સ્ટેશન અને મંદિરોને ઉડાવવાની આપી ધમકી
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદે એક પત્ર દ્વારા મુંબઇ, ચેન્નઇ અને બેંગલુરુ સહિત ર૦થી વધુ રેલવે સ્ટેશન અને મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ જાણકારી ગઇ કાલે પોલીસે આપી હતી. આ પત્ર રોહતકના રેલવે અધિકારીને મોકલવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનના અધિકારીને મળેલા પત્રમાં વ્યકિતએ ખુદને જેહાદી જણાવીને બદલો લેવાની વાત કરી છે. આ પત્ર વાંચ્યા બાદ અધિકારીઓના હોશ ઊડી ગયા છે. આરપીએફ અને જીઆરપીને તેની જાણ કરાઇ છે. હાલમાં જીઆરપીએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
રોહતક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હિંદીમાં લખાયેલા આ પત્રને સાધારણ પોસ્ટ દ્વારા રોહતકની રેલવે પોલીસને મોકલાયો હતો. તેમને જે પત્ર મળ્યો છે તેમાં મસૂદ અઝહરના હસ્તાક્ષર છે. પત્રમાં ધમકી આપવામાં આવી છે કે ખૂબ જ જલદી રોહતક, અંબાલા, મુંબઇ, કરનાલ, રેવાડી, કુરુક્ષેત્ર, પાણીપત સહિત દેશભરમાં ર૦થી વધુ રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાશે.
પત્રમાં કહેવાયું છે કે કોઇ પણ કિંમતે ધમકીને હળવાશથી લેવામાં ન આવે. પત્ર વાંચતાં જ અધિકારીઓએ જીઆરપી, આરપીએફ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કર્યા. પત્રમાં તારીખ પણ લખવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે જૈશ-એ-મોહંમદ ૮ ઓકટોબરે દેશના તમામ ભાગમાં રેલવે સ્ટેશનોને ઉડાડીને આતંકીઓના મોતનો બદલો લેશે. ધમકી મળ્યા બાદ રેલવે સ્ટેશન પર તહેનાત આરપીએફ, જીઆરપી સહિત જિલ્લા પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે.
સ્ટેશન પર જીઆરપી અને આરપીએફ દ્વારા સંયુકત રીતે ચેકિંગ અભિયાન ચલાવીને દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એજન્સીઓનું કહેવું છે કે આતંકીઓ ગુજરાતમાં ઘૂસણખોરી કરીને આતંક ફેલાવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પોલીસે જૈશ-એ-મોહંમદના ત્રણ આતંકીઓની હથિયારો અને દારૂગોળા સાથે ધરપકડ કરી હતી. થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સાથે જોડાયેલા ગુજરાતના સમુદ્રી વિસ્તાર સરક્રીકમાં શંકાસ્પદ નૌકા પણ મળી આવી હતી.