દિલ્હીની જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં થયેલી હિંસાની વિરુદ્ધ એક તરફ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ હિંસાની પાછળ ગૃહમંત્રી-એચઆરડી મંત્રી છે.
JNUમાં થયેલી હિંસાની વિરુદ્ધ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી
કોંગ્રેસ નેતાએ કહ્યું, યુનિવર્સિટીના વીસી તાત્કાલિક રાજીનામુ આપે
તેઓએ કહ્યું કે, જે બુકાનીધારીઓએ કેમ્પસમાં હુમલો કર્યો હતો. તેઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ. કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે યુનિવર્સિટીના વીસીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઇએ. પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા જયરામ રમેશે કહ્યું કે, PM 2.0 આજે PM 2.5થી વધારે ખતરનાક છે.
નોંધનીય છે કે, આજે જેએનયુના વિદ્યાર્થીઓ તરફથી દિલ્હીમાં માર્ચ નીકાળવામાં આવી રહી છે. આ માર્ચ વીસીના રાજીનામાની માંગ, હિંસા કરનારાઓ વિરુદ્ધ એક્શન લેવાની માંગને લઇને કરવામાં આવી. દિલ્હી પોલીસે જ્યારે આ વિદ્યાર્થીઓને માર્ચની મંજૂરી ન આપી, ત્યારે વિદ્યાર્થીઓને બસમાં બેસાડીને મંડી હાઉસ લઇ જવામાં આવ્યા.
કેન્દ્ર સરકારની સહમતિથી જમ્મૂ કાશ્મીરની મુલાકાતે જઇ રહેલા વિદેશી પ્રતિનિધિમંડળને લઇને કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમારા નેતાઓને ત્યાં જવાની મંજૂરી નથી. પોતાના દેશના જ સાંસદ ત્યાં જઇ શકતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળને મોકલવામાં આવી રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, અમારી માંગ છે કે તમામને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવે, માત્ર પસંદગીના લોકોને મંજૂરી ના આપવામાં આવે. તેઓએ કહ્યું કે, અમારી પાર્ટીથી ગુલામ નબી આઝાદ ત્યાં જવા માંગે છે.
અર્થવ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
અર્થવ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. માત્ર ભાગલા પાડોની રાજનીતિ થઇ રહી છે. તેઓએ કહ્યું કે, જીડીપી (GDP) ખરેખર તો 5 ટકાથી પણ ઓછી છે, 42 વર્ષના સૌથી ખરાબ સમયથી અર્થવ્યવસ્થા પસાર થઇ રહી છે.