રાજકોટ: પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલે SPG અધ્યક્ષ લાલજી પટેલને હાલ પુરતા કોઈ કાર્યક્રમો ન કરવા કહ્યું છે. આ સાથે જ કહ્યું કે અમારી સંસ્થાઓ લાલજી પટેલને સમજાવશે. ગુજરાતની શાંતિ ડહોળાય નહીં તે માટે અપીલ કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે આ મામલે સરકાર સાથે શાંતિથી ચર્ચા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ તરફ 72 કલાકના અલ્ટીમેટમ બાદ લાલજી પટેલે જાહેર માધ્યમોને એક નિવેદન આપતા કહ્યું છે કે રવિવારથી SPG વિવિધ કાર્યક્રમો આપશે.
સંસ્થાના કાર્યક્રમોની શરૂઆત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી થશે જેમાં મહાસંમેલન પણ યોજાશે. આ સાથે જ એક ખાસ મહાસંમેલન બનાસકાંઠા ખાતે પણ યોજાશે. આ સાથે જ પાટીદાર નેતા અને SPGના આગેવાન લાલજી પટેલે વધુમાં કહ્યું કે મારે કોઇ પાર્ટી સાથે લેવા દેવા નથી.
આ સાથે વિપક્ષ તરફ ઇશારો કરતા કહ્યું કે અમે રાહુલ ગાંધી અને પરેશ ધાનાણીને પત્ર લખેલ છે. અત્યાર સુધીમાં કોઇપણ પ્રકારની માગ સંતોષાઇ નથી ત્યારે વિપક્ષ પર આ અંગે દબાણ કરે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ.
આપને જણાવી દઇએ કે ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતની વાત લઇને હાર્દિક પટેલે સરકાર સામે ઉપવાસ આંદોલન કરેલ જે તાજેતરમાં જ સમેટાયું હતું ત્યારે હવે રાજકોટના જેરામભાઇ પટેલે લાલજી પટેલને હાલ પુરતો કોઇ કાર્યક્રમ ના કરવા અપીલ કરી હતી.