બ્રાઝીલના રાઈટ વિંગ વિચારધારાના સમર્થક અને દેશના રાષ્ટ્રપ્રમુખ જૈર બોલ્સોનારોએ દાવો કર્યો છે કે આ કોરોનાવાયરસનો ભય એ મીડિયા દ્વારા પેદા કરાયેલો એક ઉન્માદ છે અને દેશમાં સૌએ પોતપોતાનું જીવન સામાન્ય રીતે જીવવું જોઈએ અને લોક ડાઉન પાળવું ન જોઈએ.
કોરોનાવાયરસ વૃદ્ધો ઉપર વધુ અસર કરે છે તો શાળાઓ કેમ બંધ?: જૈર બોલ્સોનારો
હું પોતે કસાયેલું શરીર ધરાવું છે. મને કોરોનાનો ચેપ કદી ન લાગે: જૈર બોલ્સોનારોનો દાવો
નોંધનીય છે કે જૈર બોલ્સોનારો પોતે પહેલા આર્મીમાં હતા અને તેઓ દાવો કરે છે કે તેમની ફિટનેસ એટલી સારી છે કે તેમને કોરોના વાયરસનું ઇન્ફેકશન થાય એ શક્ય નથી. તેમનું કહેવું છે કે દુનિયામાં ૨૦૦૦૦ જેટલા લોકોનો જીવ લેનારી આ બીમારી ખૂબ સામાન્ય છે અને તેની સામે લોક ડાઉન જેવા પગલા ભરવાથી દેશે મોટું આર્થિક નુકશાન વેઠવું પડશે.
કોરોના વાયરસને મીડિયાની એક પરિકલ્પના ગણાવીને જૈર બોલ્સોનારો કહે છે કે આ મહામારી થોડા સમયમાં જાતે જ જતી રહેશે. જૈર બોલ્સોનારોનું આ નિવેદન બ્રાઝીલના બે સૌથી મોટા શહેરો સાઓ પાઉલો અને રીઓ ડી જાનેરો માટે છે જ્યાંની નગરપાલિકાએ શહેરોને વધુ ચેપથી અટકાવવા માટે અંશત: લોક ડાઉનની પરિસ્થિતિમાં રાખ્યા છે.
જૈર બોલ્સોનારોનો આક્ષેપ છે કે મીડિયા ઇટાલીનાં મૃત્યુના આંકડા બતાવીને લોકોમાં ડર ફેલાવે છે. લોકો પહેલાની જેમ તેમની નોકરીઓ ચાલુ રાખે એ જરૂરી છે. નગરપાલિકાઓ જાહેર પરિવહન સેવાઓ, ધંધા રોજગાર, મેળાવડા વગેરે અટકાવીને મોટી ભૂલ કરી રહ્યા છે.
તેમનો દાવો છે કે વિશ્વનો ડેટા જણાવે છે કે આ રોગથી ઘરડા લોકોને વધુ જોખમ છે તો શાળાઓ શા માટે કારણ વગર બંધ કરાવવામાં આવી છે? ૯૦% ચેપ લાગેલા લોકોમાં પણ આ રોગના ગંભીર લક્ષણો દેખાતા નથી તો આ પ્રકારનું 'ઓવર રીએક્શન' ન કરવામાં આવવું જોઈએ.
કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે જૈર બોલ્સોનારો પોતે કોરોનાં પોઝીટીવ છે પણ તેઓ આ વાત છુપાવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે WHO સહિત વિશ્વના તમામ આરોગ્ય નિષ્ણાતો અત્યારે લોક ડાઉન ઉપર ભાર મૂકી રહ્યા છે ત્યારે આટલા મોટા દેશનાં આટલા વરિષ્ઠ પદના નેતા આ પ્રકારની નિવેદનબાજી કરી રહ્યા છે.