રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર અને કોંગ્રેસના ભવિષ્ય પર કટોકટીના વાદળ છવાયા છે. સચિન પાયલોટ અને અશોક ગહેલોક વચ્ચેના મતભેદ ખુલ્લા પડી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સચિન પાયલટે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે વાત કરી છે. જેમાં તેમણે રાજસ્થાનમાં રાજકીય પરિસ્થિતિની માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ અહેમદ પટેલને જણાવ્યું છે કે ગેહલોત તેમને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ માહિતી મળી છે કે કોંગ્રેસ અહેમદ પટેલને જયપુર મોકલી શકે છે.
રાજસ્થાનના રાજકારણને લઈને કોંગ્રેસ હરકતમાં
અહેમદ પટેલને કોંગ્રેસ મોકલી શકે છે જયપુર
અહેમદ પટેલ ડેમેજ કંટ્રોલ માટે હાથ ધરી શકે છે કવાયત
રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિને જોતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રાજસ્થાનના રાજકારણને લઈને કોંગ્રેસ હરકતમાં આવી છે . આ પરિસ્થિતિને સંભાળવા માટે કોંગ્રેસ તેમના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને જયપુર મોકલી ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત હાથ ધરી શકે છે. કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ, અવિનાશ પાંડે જયપુર પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે સચિન પાયલટ અહેમદ પટેલને મળીને શનિવારે મોડી રાતે દિલ્હીથી રાજસ્થાન પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓની ખરીદી પ્રકરણમાં એસઓજીએ ફરિયાદ દાખલ કરી 2 લોકોની ધરપકડ કરી છે. જેમાં સચિન પાઈલોટની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે એવું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે સચિન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માંગતા હતા. જોકે આ દરમિયાન ગહેલોતની લોબી તૈયાર થઈ ગઈ હોય એવું મનાઈ રહ્યુ છે. ગહેલોતને મોડી રાતે અનેક ધારાસભ્યોએ સમર્થન પત્રો સોંપ્યા હતા.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેલહોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.