રાજસ્થાનના કોંગ્રેસ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષને ખતમ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. તેઓ લગાતાર અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની સાથે સંવાદ કરીને આ ઘર્ષણને અંદરખાને સુલઝાવવાનો પ્રયાસ કરી રહયા છે.
કોંગ્રેસમાં કકળાટ ક્યારે શમશે?
અશોક ગેહલોત હવે આંતરિક સંઘર્ષ ઠારવા મેદાને પડ્યા
ગેહલોત પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા મેદાને પડ્યા છે
મહત્વનું છે કે હાલમાં જમ્મુમાં થયેલા સંમેલનમાં કોંગ્રેસના જી23 ગ્રુપના નેતાઓએ કોંગ્રેસ આલાકમાન અને ખાસ તો ગાંધી પરિવારની એકહથ્થુ શાસનની સામે બંડ પોકાર્યું જણાય છે, ત્યારે આ સ્થિતિમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારના વિશ્વાસુ અશોક ગેહલોતે આ સ્થિતિમાં ગાંધી પરિવારના સમર્થનમાં નેતાઓને એકજૂટ કરવાના પ્રયાસો આદર્યા છે.
ગેહલોત ઘણા વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે
નોંધનીય છે કે ગેહલોતે જયપુરમાં બેસીને જ પાછલા એક સપ્તાહમાં ટેલિફોન પર કેટલાય વરિષ્ઠ નેતાઓનો સંપર્ક સાધ્યો છે.આ સિવાય તેઓ હજુ પણ ઘણા વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે અને જી23 ગ્રુપમાં સામેલ ગાંધી પરિવારના નજીકના નેતાઓનું સમર્થન મેળવવાના પ્રયાસો પણ કરી રહયા છે.
સચિન પાયલોટના રાજસ્થાનના સીએમ પદની દાવેદારી વખતે આ નેતાઓના ટેકા થકી જ અશોક ગેહલોત મુખ્યમંત્રી પદ મેળવવામાં સફળ બન્યા હતા, અને નોંધનીય છે કે આ સિવાય સૂત્રોની માહિતી અનુસાર અહેમદ પટેલના નિધન પછી ગાંધી પરિવારના વિશ્વસ્તની જગ્યા મેળવવામાં અશોક ગેહલોતનું નામ સૌથી આગળ બોલાઈ રહ્યું હતું, અને હાલની તેમની કવાયદ જોતા તેઓ આ સ્થાન મેળવી લે તો નવાઈ નહીં.
રાજસ્થાનમાં પણ બધું નથી ઠીકઠાક
જો કે ભલે અશોક ગેહલોત હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં તેમનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસોમાં લીન હોય, પણ તેનો મતલબ એવો બિલકુલ નથી કે તેમના ઘરઆંગણે બધું સમુંસૂતરું છે. હકીકતે રાજસ્થાનમાં છેલ્લા અમુક સમયથી જૂથબંધી ચરમસીમાએ છે. અમુક સમય પહેલા સચિન પાયલોટના સમયમાં સત્તા પરિવર્તનની કથિત રૂપે થયેલી નિષ્ફ્ળ કોશિશ પછી પાયલોટ અને ગેહલોત જૂથ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું, પરંતુ અંદર ખાને પણ ભરેલો અગ્નિ સાવ તો શાંત નહોતો જ પડ્યો.પરંતુ છેલ્લે જે ગેહલોત ગ્રૂપના બે ધારાસભ્યો પાયલોટની કિસાન મહાપંચાયતમાં સામેલ થયા પછી કોંગ્રેસ આલાકમાનની સૂચના પર વિધાનસભા પેટાચૂંટણી પછી પાયલોટ ગ્રુપના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવાની સહમતિ પણ બની ગઈ છે.