પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઇને સર્જાયેલ વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમને કોઇ પણ રાજકીય દળના નારાથી કોઇ તકલીફ નથી. તેમણે કહ્યું કે જય સિયા રામ, જય રામજી કી, જેવા ધાર્મિક નારા પાછળની ભાવનાઓ સમજે છે, પરંતુ ભાજપ જય શ્રી રામના નારાનો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે અને એવી રીતે થોપવાનો કોઇ પ્રયત્નને અમે સહન નહીં કરીએ.
એક લાંબી ફેસબુક પોસ્ટમાં મમતા બેનર્જીએ કહ્યું કે તે લોકોને જણાવવા માંગે છે કે ભાજપના સમર્થક ફેક વીડિયો, ફેક ન્યૂઝ દ્વારા ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. એવો ભ્રમ ફેલાવી રહ્યા છે અને સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે રાજા રામ મોહન રાયથી લઇને વિદ્યાસાગર સુધી બંગાળ મહાન સમાજ સુધારકોનું સ્થળ રહ્યું છે, પરંતુ ભાજપ પોતાની રણનીતિ દ્વારા બંગાળમાં નકારાત્મકતા ફેલાવી રહ્યું છે.
મમતાએ કહ્યું કે જો કોઇ પાર્ટી પોતાની રેલીઓમાં કોઇ ખાસ નારો લગાવે છે તો તેમનો કઇ તકલીફ નથી. મમતાએ લખ્યું દરેક રાજકીય દળનો પોતાનો નારો છે, મારી પાર્ટીનો નારો જય હિંદ અને વંદે માતરમ છે, વામદળ ઇંકલાબ જિંદાબાદ કહે છે, બીજી પાર્ટીઓના બીજા નારા છે, અમે એક બીજાનું સન્માન કરીએ છીએ.
ભાજપ પર ધર્મ અને રાજનીતિમાં ભેળસેળ કરવાનો આરોપ લગાવતા મમતાએ લખ્યું કે જય સિયા રામ, જય રામજી કી, રામ નામ સત્ય હે આ નારાઓનો ધાર્મિક અને સામાજિક અર્થ છે, અમે આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ ભાજપ ધાર્મિક નારા જય શ્રી રામનો રાજકીય ઉપયોગ કરી રહી છે અને તે ધર્મ અને રાજનીતિને મિલાવી રહી છે.